દિલ્હીમાં થઇ રહેલા ખેડૂત આંદોલન વચ્ચે હવે હરિયાણાની ભાજપ ગઠબંધન સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે. સરકાર JJP પાર્ટીના ટેકાથી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર વારંવાર દિલ્હી આંટા મારી રહ્યા છે.
ખેડુત આંદોલન વચ્ચે હરિયાણ સરકારને ખતરો?
કૃષિ કાયદાને લઇ JJPએ આપ્યું અલ્ટીમેટમ
ખટ્ટરને પ્લાન બી તૈયાર રાખવા અમિત શાહે આપ્યા આદેશ
ખટ્ટરની ખુરશી ડગમગી ?
હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર ચૌટાલાની પાર્ટીના સમર્થનથી સરકાર ચલાવી રહ્યા છે. જોકે દુષ્યંત ચૌટાલાની પાર્ટી JJP એક ખેડૂતોની પાર્ટી હોવાનું કહેવામાં આવે છે, એવામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ થઇ રહેલા આંદોલનમાં જલ્દી કોઈ નિર્ણય ન લેવાય તો ખટ્ટરની ખુરશી ડગમગી શકે તેમ છે.
સાત દિવસનું અલ્ટીમેટમ
હરિયાણામાં 90 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 40 ધારાસભ્યો છે અને JJP ના 10 તથા 5 અપક્ષ ધારાસભ્યોનો ખટ્ટર સરકારને ટેકો છે પરંતુ આંદોલન બાદ હવે JJPમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. દુષ્યંત ચૌટાલાની JJPના 5 ધારાસભ્યોએ ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યા છે. દુષ્યંત ચૌટાલા પર પોતાની પાર્ટીના નેતાઓનું દબાણ છે ત્યારે સૂત્રો દ્વારા મીડિયા અહેવાલ અનુસાર ચૌટાલાએ ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા ખટ્ટરને સાત દિવસનો સમય આપ્યાનું કહેવાય છે.
CM ખટ્ટર દિલ્લી પહોંચ્યા
સરકાર પર દેખાઈ રહેલા ખતરાને જોતા ખટ્ટર દિલ્હી આવ્યા હતા. જોકે ખટ્ટરની મિટિંગ ખેડૂતોના આંદોલન મુદ્દે જ થઇ હતી પરંતુ સૂત્રો મુજબ આ બેઠકમાં ખટ્ટરે પોતાની સરકાર પર બની રહેલા દબાણ વિશે પણ ચર્ચા કરી છે ત્યારે આ સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખટ્ટરને અલર્ટ રહેવાની સૂચના આપી છે અને જરુર પડે તો બી પ્લાન માટે તૈયાર રહેવા સુચના આપી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે હવે જોવાનું રહે છે કે ખેડૂત આંદોલન પર સરકાર કેટલી જલ્દી નિર્ણય લે છે, કારણ કે જો ત્વરિત નિર્ણય લેવામાં ન આવે તો હરિયાણામાં પણ સરકાર પર ખતરો રહેશે.
શું છે ખેડૂત આંદોલનની અપડેટ
નોંધનીય છે કે કેન્દ્રના નવા કૃષિ કાયદા પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જેમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હીની બોર્ડર પર ઉતરી આવ્યા છે. હજારોની સંખ્યામાં ખેડૂતોના આંદોલનને જોતા સરકારે વાતચીત શરૂ કરી, ખેડૂતો સાથે પાંચ વખતે બેઠક કરવામાં આવી પરંતુ તેમાં કોઈ રસ્તો નીકળ્યો નહીં. ગઈકાલે સાંજે અમિત શાહ સાથે ખેડૂતોની બેઠક બાદ આજે કેન્દ્ર સરકાર કેબિનેટ બેઠક બોલાવી અને તે બાદ ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ આપવામાં આવ્યો.