હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. આ પહેલા બીજેપી આક્રમક પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસ માટે રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે (18 ઓક્ટોબર) મહેન્દ્રગઢમાં ચૂંટણી રેલી કરતા નજરે પડશે.
નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી
હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે
મહેન્દ્રગઢ બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાવ દાન સિંહને ટિકિટ અપાઇ છે
સોનિયા ગાંધી પહેલી ચૂંટણી રેલી કરવા તો જઇ રહ્યા છે પરંતુ રેલીનો કોંગ્રેસી જ વિરોધ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કરોડોનું કૌભાંડ. વાત એમ છે કે, મહેન્દ્રગઢ બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાવ દાન સિંહને ટિકિટ અપાઇ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દાન સિંહ રાવે 2015માં ચંડીગઢના એક વ્યક્તિ સાથે 60 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હતી. તેમણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખેડૂતોની જમીનો વેચી નાંખી હતી. જે બાદ તેમના પર છેતરપિંડીનો કેસ નોંધાયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાવ ત્યારે મુખ્ય સંસદીય સચિવ હતા અને ટાઉન એન્ડ પ્લાનિંગ વિભાગ તેમના અંતર્ગત હતો. આટલું જ નહીં રાવ ઉપરાંત તેમના પુત્ર અને પૂર્વ યૂથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અક્ષત સિંહ આ કેસમાં સહ આરોપી છે. આ ઉપરાંત સિંહ પર આદર્શ ગ્રુપના સીઇઓ વિવેક હિરવ્યાસીની મદદ કરવાનો આરોપ છે. આરોપ છે કે હરિવ્યાસીએ પોતાની કંપની દ્વારા 200 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી છે.
નોંધનીય છે કે રાવની સામે બીજેપીના રામવિલાસ શર્મા ચૂંટણી મેદાનમાં છે. શર્માએ જ 2014ની ચૂંટણીમાં રાવ દાન સિંહને હરાવ્યા હતા.