વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર પ્રવાસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગર ખાતે રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજનની માહિતી મેળવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગરની મુલાકાતે
વડાપ્રધાનના રોડ શોના રૂટનું કર્યું નિરીક્ષણ
ડોમ અને રોડ શોના રસ્તાઓ ટૂંકા પડશે : હર્ષ સંઘવી
આગામી તારીખ 29 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગરની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવી આજે બપોરે ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને બાદમાં વડાપ્રધાનના રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણવ્યું હતું કે જે પ્રકારે ભાવનગર , અમરેલી અને બોટાદ જિલ્લાની પ્રજાનો ઉત્સાહ છે તે જોતા લાગી રહ્યું છે કે આ ડોમ અને જ્યાં રોડ શો યોજવાનો છે તે રસ્તાઓ ટૂંકા પડશે.
રોડ શોને લઈને રૂટની સમીક્ષા કરી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેટલીક જગ્યાએ કારમાંથી નીચે ઉતરીને વડાપ્રધાનના રોડ શોને લઈને રૂટની સમીક્ષા કરી હતી અને રોડ ઉપર જ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાહર મેદાન ખાતે સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમને આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સબંધિત તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ સંસદસભ્ય ભારતીબેન શિયાળ અને ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખ, પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સંસ્કૃતિને અનુરુપ ગરબા રમવા જોઇએ : હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ આ મુલાકાત સમયે રન્જ આઈજી અશોક યાદવ અને જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર તેમજ ડીડીઓએ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રાજ્ય ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતા. સભાના આયોજન ઉપરાંત આવતીકાલથી સારું થતા નવરાત્રી પર્વને લઈને યુવાનોને અપીલ કરી હતી કે નવરાત્રી પર્વ આસ્થાનું પર્વ છે ત્યારે આપણે આપણી સંસ્કૃતિને અનુરુપ ગરબા લઈને આ પર્વ ઉજવવું જોઈએ.