આજે મધર્સ ડે અંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે વિધવા વૃદ્ધ માતાઓને મળ્યા હતા અને 400 ગંગા સ્વરૂપ માતાઓને અનાજની કીટનું વિતરણ પણ કર્યું.
સુરતમાં મધર્સ ડેની ઉજવણી
ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ
કાર્યક્રમમાં હર્ષ સંઘવી થયા ભાવુક
આજે મધર્સ ડે અંતર્ગત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના અલથાણા ખાતે વિધવા વૃદ્ધ માતાઓને મળ્યા હતાં.જ્યાં તેઓએ 400 ગંગા સ્વરૂપ માતાઓને અનાજની કીટનું પણ વિતરણ કર્યું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આજે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને આજે ખરેખર શરમ આવવી જોઈએ.
આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતાઓ રહેતી હોય એ શરમની વાત છે
આ સાથે હર્ષ સંઘવીએ ભાર પૂર્વક દરેક જણાવ્યું હતું કે, તમામ માતાઓ મને પોતાનો દીકરો સમજે. સુરત શહેર તો દયાવાનોનું શહેર છે. પરંતુ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતાઓ રહેતી હોય એ શરમની વાત છે. તેમણે જણાવ્યું હતું કે, આજે એસી ગાડીમાં ફરતા લોકોના માતા-પિતા વૃદ્ધા આશ્રમમાં રહે છે. પરંતુ મારે તમામ લોકોને કહેવાનું છે કે, જેઓ માતા-પિતાને સાચવતા નથી તેમની સાથે દોસ્તી પણ રાખવી નહિ. આવા મિત્રોને તમારા કોઈ પણ પ્રસંગોમાં બોલાવવાનું બંધ કરો. એમને ખરેખર દિલથી શરમ આવે એવી પરિસ્થિતિ ઉભી કરો.
કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી થયા ભાવુક
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મને આજે માતાઓના આશીવાર્દ જોઈએ છે. આ સાંભળીને કાર્યક્રમમાં દરેક માતાઓના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, હર્ષ સંઘવીના વક્તવ્ય સમયે કેટલીક મહિલાઓ રડી પડી હતી.કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમમાં જ્યારે અનેક માતાઓને જોઉં છું ત્યારે દુઃખ થાય છે.ભાજપનો એક-એક કાર્યકર્તા આપના દીકરા અને દીકરી છે. મહત્વનું છે કે, કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી ભાવુક થયાં હતાં.