અમરેલીથી સુરત જતી લક્ઝરી બસમાં થયેલી લૂંટનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવાનો આજે ખાસ કાર્યક્રમ સુરતમાં યોજવાનો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
સુરત શહેરના સિટી લાઈટ મહેશ્વરી ભવનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાત લેશે. તેઓ સિટી લાઈટ મહેશ્વરી ભવન ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. થોડા સમય અગાઉ અમરેલીથી સુરત આવતી લક્ઝરી બસમાં થયેલી લૂટનો મુદ્દામાલ માલિકોને પરત કરવાના કાર્યક્રમમાં હર્ષ સંઘવી હાજરી આપશે. પોલીસ 299 પાર્સલ કોર્ટની મંજૂરીથી માલિકોને પરત આપશે.
19 ઓક્ટોબરે બસમાં થઈ હતી લૂંટ
આપને જણાવી દઈએ કે, ગત 19 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સની બસમાં લૂંટની ઘટના સામે આવી હતી. બસની અંદર લૂંટ કરવાના ઇરાદાથી હથિયારો સાથે પેસેન્જરના સ્વાંગમાં મુસાફરી કરી રહેલા લૂંટારોઓ બસમાં બેસેલ આંગણીયા પેઢીના કર્મચારીઓ પાસેથી રોકડ રકમ અને કરોડોના હીરા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
લૂંટારૂઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આણંદ પોલીસે પકડી પાડ્યા હતા
ઘટના બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ખેડા આણંદ તરફની દિશામાં નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે આણંદની ટીમ સાથે સંકલન કરીને નવ જેટલા લૂંટારુઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ તેઓની સઘન પૂછપરછ કરી આખી લૂંટનો મુખ્ય સૂત્રધાર અને પ્લાન ઘડનાર, ટીપ આપનાર આરોપીની ધરપરડ હિરેન ધીરુભાઈ આકોલીયાને સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસે ગણતરીની કલાકોમાં 14 લૂંટારાઓની કરી હતી ધરપકડ
તેની પૂછપરછમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, અમરેલી ખાતેથી રોજ સાત આંગણીયા પેઢીવાળા સુરત ખાતે હીરા તથા રોકડ રકમની મોટાપાયે હેરાફેરી આ ટ્રાવેલ્સમાં કરી રહ્યા છે. દિવાળીના સમયમાં આંગણીયા પેઢીના કર્મચારીઓ પાસે રૂપિયા પણ વધારે હોવાની માહિતીથી તે પૂર્ણ વાકેફ હતો. તેને લાખો રૂપિયાનું દેવું થઈ જતા શોર્ટકર્ટથી રૂપિયા કરવવા માટે મહારાષ્ટ્રની એક લૂંટ કરતી ગેંગ સાથે સંપર્ક કર્યો હતો અને આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે, પોલીસે ગણતરીની કલાકમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને 14 જેટલા લૂંટારાઓની કરી હતી ધરપકડ