કોરોના કાળના 2 વર્ષ બાદ અમદાવાદમાં ધામધૂમથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.
રથયાત્રાનું આયોજન સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બનશે: સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, '145મી રથયાત્રાની સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માટે પોલીસે રિહર્સલ પણ કરી લીધું છે. આ રથયાત્રામાં આસ્થા અને વ્યવસ્થાની સાથે એકતાનો સંદેશ જોવા મળશે.'
— Info Ahmedabad GoG (@ahmedabad_info) June 28, 2022
આ સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, 'શહેરીજનો દર્શન કરી શકે, તે માટે 25 હજાર પોલીસ જવાનોને રથયાત્રામાં તૈનાત કરવામાં આવશે. સાથે સેન્ટ્રલ ફોર્સ અને દરેક જિલ્લાના પોલીસ જવાનો પણ રથયાત્રામાં જોડાશે. આગળ તેમણે કહ્યું કે, રથયાત્રાના રૂટમાં કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું છે. રૂટ પર હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. જેમાં તમામ સમાજ અને સંસ્થા પોલીસને મદદરૂપ થઇ છે. આ રથયાત્રાનું આયોજન સમગ્ર દેશના લોકો માટે ઉદાહરણરૂપ બનશે.'
રથયાત્રા પહેલા પોલીસ દ્વારા મેગા રિહર્સલ
મહત્વનું છે કે, રથયાત્રાને લઇને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ રથયાત્રા પહેલા પોલીસ દ્વારા મેગા રિહર્સલ કરવામાં આવ્યું. રથયાત્રાના રુટ ઉપર પોલીસે મેગા રિહર્સલ કર્યું. આ પોલીસ કાફલામાં અર્ધલશ્કરી દળ, SRP અને RAFનું રિહર્સલ યોજવામાં આવ્યું. રિહર્સલમાં 25 હજાર જવાનો સામેલ થયા.
તમને જણાવી દઇએ કે, ગ્રાન્ડ રિહર્સલ કરવાનો હેતુ એ હોય છે કે પ્લાનિંગમાં જો કોઈ ખામી હોય તો તેને ત્વરિત દૂર કરી શકાય. કારણ કે 1 જુલાઈના રોજ શહેરમાં પહેલાંની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રથયાત્રા યોજાવા જઇ રહી છે. ત્યારે રથયાત્રાના સુચારુ આયોજન તેમજ કાયદા વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયું છે. પ્રથમ વાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામાં આવશે. આ વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો સાથે રથયાત્રાના બંદોબસ્તમાં પેરામિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં ગોઠવી દેવાયા છે.
જુઓ રથયાત્રા બંદોબસ્તમાં તૈનાત પોલીસનો કાફલો
ઉલ્લેખનીય છે કે, આગામી 1 જૂલાઈના રોજ અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી 19 કિમી જેટલી લાંબી રથયાત્રા નીકળવાની છે. જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે DGPએ જણાવ્યું હતું કે, રથયાત્રાની સુરક્ષામાં 4 DIG, 20 SP, 38 DCP, 60 DYSP, 150 PI, 300 PSI, 2 હજાર પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં જોડાશે. તો SRPની 21 કંપની, સેન્ટ્રલ પેરા મિલ્ટ્રી ફોર્સની 22 કંપની અને પેરા મિલિટરી ફોર્સની 25 ટીમ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. ડ્રોન કેમેરાના માધ્યમથી બાજ નજર રાખવામાં આવશે.. જવાનો સાથે બોડી ઓન કેમેરા પણ કાર્યરત રહેશે. સાયબર પોલીસની સોશિયલ મીડિયા ટીમ પણ સતત એક્ટિવ રહેશે અને ગુનેગારો પર બાજ નજર રાખશે.' આમ, રથયાત્રામાં કુલ મળીને 25000થી વધુ સુરક્ષાકર્મીઓ રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત રહેશે.
રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે
વધુમાં તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે. આકાશમાં ઉડી શકે તે પ્રકારની પેરામોટરનો ઉપયોગ થશે. ડ્રોનની સાથે-સાથે પેરામોટરથી પણ નજર રહેશે. પોલીસે GMDCમાં પેરામોટરનું ટ્રાયલ પણ કર્યું છે. પેરાગ્લાઈડિંગથી આકાશમાંથી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો પેરાગ્લાઇડ કરી આકાશમાંથી નજર રાખશે. ગોકાર્ટ સાથે પેરાશુટથી જોડાયેલા વાહનનો ઉપયોગ કરાશે.