વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસે વરરાજા અને નવવધૂ સહિત પરિવારની અટકાયત કરી હતી. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની કામગીરી કડક શબ્દોમાં વખોડી નાંખી
વલસાડમાં વરરાજાની અટકાયતનો મામલો
હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓને સોંપી તપાસ
"રીઢા ગુનેગારોની જેમ વર્તન ન કરવું જોઈએ"
વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસ દ્વારા વરરાજાની અટકાયત કરવામાં આવી હતી. વરવધુ સહિત તેના પરિવારજનોને અડધી રાત્રે પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા ગુનો માત્ર એટલો જ હતો કે તેઓએ રાત્રિ કર્ફ્યૂના નિયમોનું પાલન ન કર્યુ. આ અંગે પરિવારે પોતાની ભૂલ સ્વીકારી તેમજ વિનંતી કરવા છતાં પણ પોલીસે રીઢા ગુનેગારની જેમ વર્તન કર્યુ હતું. આ મામલે વલસાડ અને વાપી પોલીસની ચોમેર ટીકા થઇ રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને પોલીસના આ પ્રકારના વર્તનને કડક શબ્દોમાં વખોડી નાંખ્યુ.
પોલીસનું આ પ્રકારનું વર્તન ચલાવી નહી લેવાય- હર્ષ સંઘવી
વલસાડમાં વરરાજાની અટકાયત મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે પોલીસે તમામ લોકો સાથે રીઢા ગુનેગારની જેમ વર્તન ન કરવુ જોઇએ.
દરેક પગલા તેની સામાજિક પરિસ્થિતિ અને ગુનો જોઇને નિર્ણય લેવો જોઇએ. ખાસ કરીને લગ્ન, હેલ્મેટ, માસ્ક ન પહેરવા જેવી ભૂલોને કારણે રીઢા ગુનેગારની જેમ લોકો સાથે વર્તન ન કરવુ જોઇએ. આ પ્રકારની ભૂલમાં પોલીસનું આ પ્રકારનું વર્તન સ્હેજ પણ ચલાવી નહી લેવાય. આ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
વલસાડમાં શું બની હતી ઘટના ?
રાજ્યમાં કોરોનાના કેસ વધતા મહાનગરો સહિતના અનેક જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના નિયમોનું પાલન ન થતા વરરાજા સહિત જાનૈયાઓને પોલીસ સ્ટેશન જવુ પડ્યુ હતું. રાત્રે 10 વાગ્યાથી પણ વધારે સમય થઇ ગયો હોવાથી વલસાડ પોલીસે ગાઇડલાઇન ભંગનો ગુનો નોંધીને દંપત્તિ સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. પરિણામે જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હને રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવી પડી હતી.
પોલીસે કેવુ કર્યુ વર્તન ?
વરરાજાએ વીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કન્યા વિદાય કર્યા બાદ અમે અમારા ઘરે જઇ રહ્યા હતા તે સમયે પોલીસે અમારી કાર રોકી. અમને જેમ તેમ બોલવા લાગ્યા. મને લાફો પણ મારી દીધો. ડ્રાઇવરના મોબાઇલ અને લાયસન્સ લઇ લીધા અને પોલીસ સ્ટેશન લઇ ગયા. પોલીસ સ્ટેશનમાં માતા પિતા, મોટા પપ્પા, મોટી મમ્મી, ભાઇ ભાભી , સાત વર્ષનો છોકરો અને અમે બંને જણાને પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાં અઢી કલાક સુધી અમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા. પોલીસ સ્ટેશનમાં અમારી સાથે ખરાબ વર્તન કર્યુ. પરિવારે કહ્યુ કે વરરાજાની ગાડીને જવા દો અમે પોલીસ સ્ટેશન આવીએ. અમે વિનંતી કરી કે અમે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કર્યુ છે પરંતુ વિદાયમાં અમારે મોડુ થઇ ગયુ છે પરંતુ કોઇએ અમારી વાત સાંભળી નહી.