સુરતનો વોન્ટેડ માથાભારે શખ્સ સજ્જુ કોઠારીના માણસોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસ સુરતના રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઇ આરીફ કોઠારીને પકડવા ગઇ હતી. તે તે દરમિયાન સજ્જુ કોઠારીના માણસોએ પોલીસની ટીમ પર હુમલો કરીને આરીફને છોડાવી લીધો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહીના ભાગરુપે આરીફના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધુ. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ પર હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
અશાંતિ ફેલાવનાર એક પણ સામે ઢીલાશ નહીં રખાય- સંઘવી
આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરતના રાંદેર વિસ્તારમાં આરીફ નામનો વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવતો હતો. આ મામલે મનપા અને પોલીસે કાર્યવાહી કરી છે. ગુજરાતમાં સલામતીમાં સુરત અવ્વલ નંબરે છે. અશાંતિ ફેલાવનાર એક પણ સામે ઢીલાશ રખાશે નહીં. ગેરકાયદેસર કામ કરનાર અનેક સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી. તેમજ સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબીમાં કાર્યવાહી ચાલી રહી છે. સરકારી જગ્યા પર કબ્જો કરનારના મકાન પર પોલીસના બુલડોઝર ચાલ્યા છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
આરીફની મિલકત પર ફેરવ્યું બુલ્ડોઝર
મહત્વનું છે કે રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતના સ્ટાફ ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે ઝૂંપડપટ્ટી તાપી નદીના પાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન નાનપુરાના કુખ્યાત શખ્સ સજ્જુ કોઠારીના ભાઇ આરીફને જોયો. પોલીસે આરીફને દબોચી લીધો પરંતુ તેણે બુમાબુમ કરતા આશરે 40થી વધારો લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો.પીએસઆઇ હડીયાનો શર્ટ ફાડી નાંખ્યો હતો. તેમજ અન્ય પોલીસ કર્મીઓ સાથે મારામારી કરીને આરીફને છોડાવી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહીના ભાગ રુપે અસામાજિક તત્વોના ઠેકાણા પર બુલ્ડોઝર ફેરવી દીધુ હતું. પોલીસે ઝપાઝપી કરીને ભાગેલા આરોપી આરીફની મિલકત પર પણ બુલ્ડોઝર ફેરવી દીધું. તેમજ હુમલો કરનારા 12 લોકોની ધરપકડ પણ કરી હતી.