હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી છે તેમણે કહ્યું કે કોઈ પણ ગુનેગારોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે
પેપરલીક કેસમાં ગૃહ રાજ્યમંત્રી એકશનમાં
ગઈકાલે અધિકારીઓ સાથે કરી હતી મેરેથોન બેઠક
અત્યાર સુધી કરાયેલી તપાસ અંગે મેળવી માહિતી
હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી છે, અને ગુનેગારોને કોઈ પણ ભોગ છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે CMના માર્ગદર્શન હેઠળના તપાસના આદેશ અપાવામાં આવ્યા છે અને પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં શંકાસ્પદ આરોપીઓ ભાગી ન શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કલમ 406, 409, 420 120 મુજબ ફરિયાદ નોંધાઈ છે. અને અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે મહત્વનું છે કે મુખ્ય શંકાસ્પદ આરોપીએ પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ જઈને પેપર સોલ્વ કર્યું હતું. તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે રીતે કાર્યવાહી કરાશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
હેડકલાર્ક પેપરલીક કેસમાં એકશનમાં પોલીસ
મહત્વનું છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી હિંમતનગર મંગાવામાં આવી છે, પેપરલીક મામલે જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,બુધવારે જાડેજાએ આ અંગેના પૂરાવા આપીને સરકાર બે દિવસમાં પેપર લીક થયેલું જાહેર કરી પગલાં લે નહીંતર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપતાં હવે સરકાર પણ હરકતમાં આવી છે.
પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા નથી મળ્યા
હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે બોર્ડના ચેરમેન અસિત વોરાએ ગઈ કાલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપરલીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠામાં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે.
GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.