સુરતના એક પરિવારે પોતાના પરિવારના મોભીનું અકસ્માતમાં મૃત્યુ બાદ બે કિડની, લીવરનું અંગદાન કરી ત્રણને નવું જીવનદાન અપાવ્યું છે. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, મૃતક ધર્મેન્દ્રસિંહના પરિવારે અંગદાન કરી ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.
20 તારીખના રોજ હજીરા વિસ્તારમાં થયો હતો અકસ્માત
પરિવારે કિડની, લીવરનું દાન કરી ત્રણને નવું જીવનદાન આપ્યું
ગૃહ રાજ્યમંત્રીએ પરિવાર સાથે મુલાકાત કરી
સુરત શહેરના હજીરા વિસ્તારમાં ગત 20 તારીખના રોજ અકસ્માત સર્જાતા ધર્મેન્દ્રસિંહ રાજપૂત નામના વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તહેવાર તાણે ઘરના મોભીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મૃતક ધર્મેન્દ્રસિંહના કિડની અને લીવરનું દાન કરાયું
આ બધાની વચ્ચે કઠણ કાળજુ રાખીને પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારજનોએ મૃતક ધર્મેન્દ્રસિંહની કિડની અને લીવરનું દાન કરી સમાજમાં શ્રેષ્ઠ દાખલો બેસે તેવી કામગીરી કરી છે. પરિવારજનોએ ધર્મેન્દ્રસિંહના ત્રણ મહત્વના અંગોનું દાન કરી ત્રણ લોકોને નવું જીવનદાન આપ્યું છે.
ધર્મેન્દ્રસિંહ રાજપૂતનો થયો હતો રોડ અકસ્માત: હર્ષ સંઘવી
આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત બાદ તેઓએ જણાવ્યું હતું કે, સુરત અંગદાનમાં સૌથી અગ્રેસર શહેર છે. મૂળ ઝારખંડના વતની અને હાલ સુરત ખાતે રહેતા ધમેન્દ્રસિંહ ભાટપોર જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
ત્રણ લોકોને નવું જીવન આપવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે: સંઘવી
તેઓએ જણાવ્યું કે, 'તેમના બાળકો અને પત્નીએ અંગદાન કરીને ત્રણ લોકોને નવું જીવન આપવાનું શ્રેષ્ઠ કામ દિવાળીના સમયે કરેલ છે. દુઃખની આ ઘડીમાં પણ પરિવારે અંગદાનનો નિર્ણય કરી ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. દિવાળીના પર્વ સમયે પરિવારની આ કામગીરી ખૂબ જ શ્રેષ્ઠ અને બિરદાવવાલાયક છે. હું આ પરિવારને બે હાથ જોડી વંદન કરવા આવ્યો છું. ભગવાન આ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.'