ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસને લઇને સુરત સિવિલની લીધી મુલાકાત, સચિન GIDCની ગેસ લીકેજ ઘટનાના ઇજાગ્રસ્તોની પૂછી ખબર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ
ગેસ લીકેજની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળ્યા
અન્ય આરોપીઓની શોઘખોળ શરુ-હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 37મો જન્મ દિવસ છે. જેને લઇને તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.અહીં તેઓએ સચિન જીઆઇડીસીમાં ટેન્કર ગેસ લીકેજમાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને મળવા પહોંચ્યા હતા. તેઓના ખબરઅંતર પૂછ્યા હતા. સારવાર લઇ રહેલા લોકોને કોઇ સુવિધાનો અભાવ તો નથી ને, પુરતી સારવાર મળી રહી છે કે કેમ તે અંગેની ચર્ચા કરી હતી.
હલકી કક્ષાની રાજનીતિ બંધ કરો- હર્ષ સંઘવી
સચિન જીઆઇડીસીમાં થયેલી દુર્ઘટનાને લઇને હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આ ખુબ ગંભીર ઘટના છે. આવી ઘટનાઓ પર રાજકારણ ક્યારેય ન થવુ જોઇએ. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જે મુદ્દો મુક્યો છે તેના પર પોઝિટીવ રીતે તપાસ થશે પરંતુ આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેની પર ક્યારેય આવી હલકી કક્ષાની રાજનીતિ ન કરવી જોઇએ.
કામગીરીમાં ક્યાંય ચૂક હોય તો અડધી રાતે જણાવો-હર્ષ સંઘવી
સચિન જીઆઇડીસીમાં થયેલી દુર્ઘટના અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે આ મામલે પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. હજી પણ આ ઘટનામાં સંડોવાયેલા આરોપીની તપાસ ચાલી રહી છે. આ ઘણો જ ગંભીર ગુનો છે. પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી કામ કરી રહી છે. અને જો આ ઘટનામાં ન્યાય અપાવવામાં ક્યાંય જો પોલીસની ચૂક થતી હશે તો તમે અમને અડધી રાતે જાણ કરી શકો છો અમે મજબૂતાઇથી આમા કામ કરવા માંગીએ છીએ તેમ જણાવ્યુ હતું.
નિયમ ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરીશું : હર્ષ સંઘવી
કોવિડ ગાઇડલાઇનના નિયમ ભંગને લઇને વિવિઘ ઘટનાઓ સામે આવી છે. જેમાં કેટલાક નેતાઓ પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપતા જણાવ્યુ કે કાયદો બધા માટે સરખો છે. 400 લોકો સુધી એકત્ર થવાની મંજૂરી છે .નિયમ ભંગ કરશે તેની સામે કાર્યવાહી થશે. પોલીસ મેળાવડાઓ પર નજર રાખી રહી છે .
દુર્ઘટના ક્યારે થઇ હતી ?
6 જાન્યુઆરી ગુરુવારે સુરતના સચિન GIDCમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની પાઇપ અચાનક લીક થતા જ આસપાસના વિસ્તારોમાં ગેસ ફેલાયો હતો. જેના કારણે 6 લોકોના મોત નીપજ્યાં ગહતાં. તેમજ 20 વધુ લોકોને ગેસની અસર થઈ હતી. જે બાદ રાત્રે 8 થી સવારે 7 સુધી એક પણ ટેન્કરોને પ્રવેશ આપવામાં નહી આવે તેવો મહત્વનો નિર્ણય સચિન GIDCના વહીવટીકર્તાઓ દ્વારા લેવામાં આવ્યો હતો. સુરતના સચિન GIDCમાં કાર્યરત ડાઈંગ, કેમિકલ સહિત એસોશિએશનમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.