ભૂમાફિયાઓ જામનગર અને ગુજરાત છોડી બીજું રાજ્ય પકડી લે
તારીખ પે તારીખ નહીં ત્વરિત ન્યાય મળે તે પ્રકારનું કામ કરી રહ્યાં છીએ
જામનગરમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂમાફીયાઓને લઇને મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, 'ભૂમાફિયાઓ માટે સૌથી સારો રસ્તો એ છે કે, તેઓ જામનગર અને ગુજરાત છોડીને બીજું રાજ્ય પકડી લે. જિલ્લામાં કોઈ પણ પ્રકારના વ્યાજના દૂષણ ચાલવા નહીં દઈએ. કોઈ પણ પ્રકારની જરૂર પડે તો અડધી રાતે મને ફોન કરજો. જામનગરના લોકો અને વેપારીઓને હું ફરીથી મળવા આવીશ. તારીખ પે તારીખ નહીં ત્વરિત ન્યાય મળે તે પ્રકારનું કામ કરી રહ્યાં છીએ.'
ભૂમાફિયાઓ જામનગર અને ગુજરાત છોડી બીજું રાજ્ય પકડી લે: સંઘવી
જામનગરની (jamnagar) મુલાકાતે પહોંચેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભૂમાફિયાઓને ચેતવણી આપી હતી. તેઓએ કહ્યું કે, 'ભૂમાફિયાઓ જામનગર અને ગુજરાત છોડી બીજું રાજ્ય પકડી લે.'
હર્ષ સંઘવીએ ક્રિકેટ બંગલા ખાતે ઈન્ડોર સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કર્યું
મહત્વનું છે કે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી એક દિવસીય જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ક્રિકેટ બંગલા ખાતે ઈન્ડોર સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.આ દરમિયાન હર્ષ સંઘવી ફૂટબોલ રમતા પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેમણે ડ્રગ્સ વિરૂદ્ધ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરીને અન્ય રાજ્ય પણ અનુસરી રહી છે.
હર્ષ સંઘવીએ ગઈ કાલે રાજકોટ જિલ્લાના જેતપુરની પણ મુલાકાત લીધી હતી
ગઈ કાલે હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના જેતપુરની પણ મુલાકાત કરી હતી. તમને જણાવી દઇએ કે, જેતપુર સૃષ્ટી રૈયાણી હત્યા કેસ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાને કહ્યું હતું કે, 'આ કેસમાં તેઓ ખુદ મોનિટરિંગ કરી રહ્યાં છે.' આ સાથે ખાતરી આપી હતી કે, 'સૃષ્ટી રૈયાણી કેસ મામલે પણ કાર્યવાહી ઝડપથી થઈ રહી છે.' મહત્વનું છે કે, જેતપુરના જેતલસરમાં સૃષ્ટી રૈયાણી નામની સગીરાની એક તરફી પ્રેમમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીએ સગીરાને ઘરે જઈને સગીરાને છરીના ઘા ઝીંક્યા હતા. બીજી તરફ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો હતો. હાલ આરોપી જેલમાં બંધ છે.