અમદાવાદનો કુખ્યાત બુટલેગર હરીશ જોષી વિરુદ્ધ પોલીસમાં 200 જેટલી અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા એક પરિવાર ઘર છોડી જવા તૈયાર
ઘોડાસરમાં બુટલેગર રાજ!
એક પરિવાર ઘર છોડવા તૈયાર
બુટલેગર હરીશ જોષીનો ત્રાસ
આજે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવાનું કામ અમે નહીં એક પીડિત પરિવાર કર્યું છે. જે પરિવાર બુટલેગરોના ત્રાસથી પોતાનું ઘરછોડી વતન બિહાર જવા માટે મજબૂર બન્યો છે. ઘટના અમદાવાદના ઘોડાસર વિસ્તારની છે. જ્યાં બુટલેગરના ત્રાસથી મુકેશ ઝા નામનો વ્યક્તિ અને તેનો પરિવાર પોતાનું જ ઘરછોડવા માટે મજબૂર બન્યો છે.
ઘોડાસરમાં રહેતા મુકેશ ઝા ઈલેક્ટ્રોનિક્સ વસ્તુની દુકાન ધરાવે છે. અને ઘોડાસરની વાઘેશ્વરી સોસાયટીમાં રહે છે. મુકેશભાઈના આક્ષેપ પ્રમાણે, તેમના વિસ્તારનો કુખ્યાત બુટલેગર હરીશ જોષી તેમનું મકાન પડાવવા માગે છે. અને વારંવાર તેમને અને તેમના પરિવારને ધમકી આપે છે.
પોલીસમાં 200થી વધુ ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નહીં
મુકેશભાઈ જણાવ્યું કે, બુટલેગર હરીશ જોષી તેનું ઘર પડાવવા માટે તમામ હદો પાર કરી ચૂક્યો છે. તે મારું ઘર પડાવવા માટે AMC અને પોલીસમાં વારંવાર ખોટી અરજીઓ કરી અમને પરેશાન કરે છે. એટલું જ નહીં તેણે મારી પત્નીની પણ છેડતી કરી હતી. તેના ત્રાસથી કંટાળી અમે 200 જેટલી અરજીઓ કરી. પરંતુ પોલીસ પણ તેની સાથે સાઠગાઠ ધરાવતી હોય તેમ આજ સુધી કોઈપણ કાર્યવાહી નથી કરી. જેથી તેનો પરિવાર ઘરછોડવા માટે મજબૂર બન્યો છે.
આ કિસ્સા બાદ એક વાત તો સ્પષ્ટ છે કે, ખાખીમાં પણ ગુંડાઓને છાવરનારા બેઠા છે. સવાલ એ થાય છે કે, શું મેગા સિટી અમદાવાદમાં બુટલેગરોનું રાજ છે? હરીશ જોષી નામના આ બુટલેગર પર કોનો હાથ છે? 2011થી પરિવાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી રહ્યો છે તો કાર્યવાહી કેમ નહીં? પત્નીની છેડતી મામલે ફરિયાદ આપી તો કેમ કાર્યવાહી ન થઈ? શું પોલીસને આ બુટલેગરો પાસેથી હપ્તા મળે છે? શું અમદાવાદમાં પોલીસને પણ બુટલેગરોનો ડર લાગી રહ્યો છે? સવાલો અનેક છે.