હરિધામ સોખડાના સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયાં બાદ તેમના પાર્થિવ દેહને આગામી 31 જુલાઈ સુધી હરિભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યો છે.
સોખડાના મહંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી
સોખડા ખાતે અંતિમ દર્શન માટે ભક્તો માટે કરાઇ વ્યવસ્થા
સ્વામીના બાળપણના મિત્રએ સંસ્મરણો વાગોળ્યા
ઉલ્લેખનીય છે કે, તમામ ભક્તોને હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનનો લાભ મળે તે માટે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભક્તોને વિવિધ સમયની ફાળવણી કરાઈ છે તે પ્રમાણે જ સ્વામીજીના નશ્વર દેહના ભક્તો દર્શન કરી શકશે. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે 150 જવાનો ગોઠવાયા છે.
દેશ-વિદેશમાંથી હરિભક્તો દર્શન માટે કરાઈ ખાસ વ્યવસ્થા
8 થી 12 વાગ્યા સુધીમાં કૃષ્ણજી પ્રદેશના ભક્તો દર્શન કરશે
4 થી 8 વાગ્યા સુધીમાં આત્મીય પ્રદેશના ભક્તો કરી શકશે દર્શન
4 થી 8 વાગ્યા સુધીમાં યોગીસૌરભ પ્રદેશ, ભગતજી પ્રદેશના ભક્તો કરી શકશે દર્શન
સ્વામી હરિપ્રસાદજીના મિત્રએ દર્શન કરી આપ્યું નિવેદન
બાળપણના મિત્ર પ્રભુદાસ પટેલે હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા અને બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. VTV સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તારો સાથ નહીં છોડું તેવું કહીને હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયાં. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, મારા જીવનના તમામ સુખ દુખમાં મને સાથ આપ્યો અને અમારા ગામ અને અમારું જીવન ઉજવળ બનાવ્યું.
1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર
હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યારબાદ 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવનાર છે. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા આવશે. પ્રદેશ પ્રમાણે, દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરાયો છે.
છેલ્લા કેટલાક સમયથી હતા નાદુરસ્ત
હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
જો કે, સોમવારે મોડી રાતે તબિયત ફરી લથડતા સ્થાનિક ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. સ્વામીજી અક્ષર નિવાસી થયાં હોવાની વાત વાયુવેગે ભક્તોમાં ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપ્યો હતો.
મંદિર દ્વારા ભક્તોને અપાઈ જાણકારી
યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.
અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.
1943માં સ્વામીજીનો થયો હતો જન્મ
આપને જણાવી દઇએ કે, સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.