અમદાવાદઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે મુખ્ય સાક્ષી આઝમ ખાને મોટો ઘટસ્ફોટ કર્યો છે. નીચલી કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ થયેલા આઝમ ખાને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ.હરેન પંડ્યા હત્યા મામાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઝમ ખાને હરેન પંડ્યાની હત્યા સોહરાબુદ્દીને કરી હોવાની વાત કરી હતી. સોહરાબુદ્દીનને તે સમયના આઈ.પી.એસ ડી.જી.વણઝારાએ સોપારી આપી હોવાની કોર્ટમાં જુબાની આપી હતી. આ જુબાની આપતા જ ફરી એકવાર હરેન પંડ્યા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે અનેક સવાલો ઉભા થયા છે.
વણઝારા નકલી એન્કાઉન્ટરમાં નિર્દોષ સાબિત થયા છે
સોહરાબુદ્દીને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કરી હોવાની જુબાની કોર્ટમાં અપાઈ છે. જુબાની આપનાર આઝમ ખાને દાવો કર્યો છે કે ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. અધિકારી ડી.જી.વણઝારાએ હરેન પંડ્યાની હત્યા માટે સોંપારી આપી હતી. વણઝારા નકલી એન્કાઉન્ટરમાં નિર્દોષ સાબિત થયા છે. ત્યારે આ મામલે આગામી અઠવાડિયે ફરી સાક્ષીનું નિવેદન લેવામાં આવશે. વર્ષ 2003માં ગૃહમંત્રી હરેન પંડ્યા ગાર્ડનમાં ચાલવા ગયા હતા અને પરત ફરતા તેમના પર ગોળીબાર કરીને હત્યા કરી હત્યારા ફરાર થયા હતા. આ હત્યા કરાયા બાદ અનેક જાતના તર્ક વિતર્ક ઉભા થયા હતા.
ડી.જી.વણઝારાએ હરેન પંડ્યાને મારવા પૈસા આપ્યા?
મુંબઈની કોર્ટમાં આઝમ ખાને દાવો કરીને કહ્યું કે તે 2002માં સોહરાબુદ્દીનને મળ્યો હતો. આઝમ ખાનની મુલાકાત તુલસી પ્રજાપતિ અને સોહરાબુદ્દીનની પત્ની કોસરબી સાથે પણ થઈ હતી. બાદમાં સોહરાબુદ્દીને જણાવ્યું હતું કે તેને ડી.જી.વણઝારાએ હરેન પંડ્યાને મારવા પૈસા આપ્યા હતા અને તે કામ પૂરુ થયું છે. તેને પસ્તાવો હતો કે આ ખોટુ છે અને તેણે એક સારા વ્યક્તિની હત્યા કરી નાખી.
નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી!
આઝામ ખાનના મતે સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા. સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી. તેણે જ સોહરાબુદ્દીન તેની પત્ની કૌસરબી અને તુલસીને પોતાની ફોઇના મલ્લાતલાઇમાં આવેલા મકાનની જગ્યામાં આશરો આપ્યો હતો. ત્રણેય લોકો અહીં જ રહેતા હતા.
આઝમે આપેલું આ નિવેદન અગાઉના નિવેદન કરતા અલગ
ઉલ્લેખનીય છે કે જ્યારે સીબીઆઇ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી હતી. ત્યારે સીબીઆઇ ઇન્સ્પેક્ટર પવાર વિશ્વાસ મીણા અને એન.એસ.રાજુએ અલગ-અલગ ત્રણવાર તેના સીઆરપીસીની કલમ 161 હેઠળ નિવેદનો લીધા હતા. આઝમ આ કેસનો એક માત્ર એવો સાક્ષી છે જેના સીઆરપીસીની કલમ 164 હેઠળ કોર્ટમાં બેવાર નિવેદન લેવાઇ ચુક્યા છે. જેમાં આઝમે આપેલું આ નિવેદન અગાઉના નિવેદન કરતા અલગ હોવાનું સામે આવ્યું છે.
લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેક રેન્જથી કારમાં હરેન પંડ્યાની કરાઇ હત્યા
આ પહેલા પણ હરેન પંડ્યા કેસને લઈને અનેક રાજકીય નેતાઓ પર આક્ષેપ લગાવાયા હતા. હરેન પંડ્યાના પત્નીએ પણ આ મામલે ભાજપના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યા હતા. સમગ્ર મામલો એમ હતો કે 26મી માર્ચ 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હવે આ મામલે નવો વળાંક આવતા ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે.