હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, હજુ સુધી કમલમ તરફથી કોઈ સત્તાવાર એલાન નહીં ફક્ત ભરત ડાંગરને જ જાણ?, નેતાઓમાં પણ અંદરો અંદર ગપસપ
આખરે ભાજપમાં 'હાર્દિક' સ્વાગતની તૈયારી !
કોઈને પાપી ગણવો યોગ્ય નથી - નીતિન પટેલ
કોઈ ખબર નથી સીધો હાઈકમાન્ડથી ફેંસલો?
આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ કેસરિયા ધારણ કરશે તે નક્કી છે. ત્યારે હાર્દિક ભાજપમાં જોડાશે કે કેમ તેને લઈને ભાજપના જ નેતાઓ વચ્ચે ગુંચવણ ભરેલા જવાબો આવી રહ્યાં છે. હાર્દિક પક્ષ પલટો કરે છે એ વાત બહુ લાંબા સમયથી ચાલી રહી હતી. હવે આ અટકળોનો આખરે અંત આવશે.પરંતુ પૂર્વ નાયબ CM નીતિન પટેલે ત્યાં સુધી કહ્યું કે હાર્દિક ભાજપમાં જોડાય છે. તેની તેમને જાણ નથી, પ્રવક્તા ભરત ડાંગર એલાન કરી રહ્યા છે કે હાર્દિક 2 જૂને ભાજપમાં જોડાશે. તો આ તરફ મહામંત્રીએ 3 4 દિવસ અગાઉ કહ્યું હતું કે હાર્દિક ભાજપમાં આવશે એવા સમાચાર અમને મળ્યા નથી. આ નિવેદનો પરથી તર્ક એવો નીકળે છે કે યા તો નેતાઑ ખુશ નથી કે તેમને સાવ ખબર નથી.
હાર્દિક પટેલ 2 જુને ભાજપમાં જોડાશે: ભરત ડાંગર, પ્રવક્તા ભાજપ
હાર્દિક પટેલ 2 જૂનના રોજ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે જોડાશે.ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને લઈને જાહેરાત કરી છે. ભાજપની વિચારધારાથી પ્રેરાઈને હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે ભાજપમાં જોડાવાના છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા અંગે ભાજપના પવક્તાનું પહેલીવાર નિવેદન સામે આવ્યું અને જણાવવામાં આવ્યું કે સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. 2 જૂનના રોજ બપોરે 12 કલાકે કમલમ ખાતે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. અગાઉ આદિવાસી અને ઓબીસી નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
મારી પાસે હાર્દિક બાબતે સત્તાવાર માહિતી નથી- નીતિન પટેલ
આ અંગે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'મારી પાસે હાર્દિક બાબતે સત્તાવાર માહિતી નથી.' પણ વધુમાં તેઓએ કહ્યું કે 'જેને સમાજ સેવા કરવાનો ઉત્સાહ હોય તેને ભાજપ આવકારે છે. રાજદ્રોહ કેસ બાબતે હું કોઈ ટિપ્પણી કરીશ નહીં. કોઈ પણ વ્યક્તિ સજા કરીએ કે કોઇને આરોપી ગણીએ કે અમે કોઇ એવાં મહાત્મા નથી કે કોઇને પાપીલા ગણીએ. અમારી માટે જે દરેક વ્યક્તિ સાચું કામ, સારું કામ કરવા માટે ઉત્સાહ ધરાવે એ બધા નાગરિકો ભાજપમાં આવકાર્ય છે. હું કોઇ વ્યક્તિ માટે કે વ્યક્તિ વિશેષ માટેની આ વાત નથી કરતો. હું આ જનરલ વાત કરી રહ્યો છું કે કોઇ પણ વ્યક્તિ એ સારું કામ, સાચું કામ કે સમાજનું કામ, પ્રજાની સેવા કરવાનું કામ કે દેશની સેવા કરવાનું કામ, રાષ્ટ્રસેવા કરવાનું કામ અમારા ભારતીય જનતા પક્ષના માધ્યમથી કરવા માટે ઇચ્છતા હોય, રાજકીય પ્લેટફોર્મમાં પ્રવેશ કરી રાજકીય માધ્યમથી દેશની સેવા કરવા ઇચ્છતા હોય એવાં દરેક વ્યક્તિઓ જે અમારા ભાજપના નીતિ નિયમો અને સિદ્ધાંતોમાં જે લોકોને શ્રદ્ધા છે તેવાં તમામ લોકો ભાજપમાં આવકાર્ય છે.'
હાર્દિક આવશે કે તેમ તે વાતથી અજાણ છું: મંત્રી રાઘવજી પટેલ
પોરબંદરના દેગામ ગામે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને રાઘવજી પટેલના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન રાઘવજી પટેલે હાર્દિકના ભાજપમાં જોડાવાની શક્યતાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને હાર્દિકના કોંગ્રેસ છોડવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. હાર્દિક પટેલ ભાજપ માં જોડાશે કે કેમ તે વાતથી તેઓ અજાણ હોવાનું સ્વીકાર્યું હતુ તેમજ વધુમાં જણાવ્યું હતું કે તે આવશે તો સ્વાગત છે હાર્દિક પટેલને કોંગ્રેસની માનસિકતા નો પર્દાફાશ કર્યો એનો આનંદ છે હાર્દિકને કોંગ્રેસની માનસિકતા ની ખબર પડી એ સારી બાબત કહેવાય કોઈને ભાજપમાં લાવવા માટે પ્રયાસ નથી કરતી ભાજપ મહાસાગર છે વિચારધારાથી પ્રેરાય ને આવે તેમને સ્વીકારવામાં આવે છે
અમારા સુધી કોઈ સમાચાર નથી: પ્રદીપસિંહ વાઘેલા
થોડા દિવસ અગાઉ 23 મેને રોજ ગુજરાત ભાજપના મહામંત્રીને પણ હાર્દિકના ભાજપ ગમન પર સવાલ કરવામા આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે કઈ પાર્ટીમાં જોડાવું તે હાર્દિકનો નિર્ણય હશે. અમારો સપર્ક હાર્દિકે કર્યો નથી અને ભાજપે પણ હાર્દિકનો સંપર્ક કર્યો નથી. છેલ્લે કોઈ જાણ ન હોવાનું રટણ કરી પ્રદીપસિંહે પણ ગોટાળા ભર્યો જવાબ આપ્યો હતો.
હાર્દિક પર દિલીપ સંઘાણીનો પ્રહાર
તો બીજી તરફ ઈફકોના ચેરમેન અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કચરો છે, નરેશ પટેલ ગમે ત્યાં જાય ભાજપને કોઈ ફેર નહિ પડે. આ સાથે તેમણે હાર્દિકના ભાજપ પ્રવેશની વાતોને નકારી દીધી હતી.
હાર્દિક કમલમમાં ધારણ કરશે કેસરિયો ખેસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં હાર્દિક પટેલને લઇને મોટા સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલે 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. હાર્દિક શક્તિ પ્રદર્શન કરીને ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપમાં જોડાશે. જો કે, હાર્દિકને જોડવા માટે કેન્દ્રીય મંત્રીના આવવાની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે, ગત થોડા દિવસ અગાઉ હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ હાર્દિકની અલગ-અલગ પાર્ટીમાં જોડાવવાનવી અટકળો વહેતી થઇ હતી. જેનો આજે અંત આવ્યો છે.