સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા VTVની હાર્દિક પટેલ સાથેની વાતચીતમાં ગુજરાતની રાજનીતિમાં થર્ડ ફ્રંટ, અલ્પેશ કથિરીયા અને ખેડૂતોની સમસ્યા અંગે વાતચીત
દેશમાં ખેડૂતો માટે આયોગ હોવું જરૂરી છે
કોંગ્રેસે જરૂર આત્મ મંથન કરવું જોઈએ
હારવાના ડરથી ભાજપ ત્રીજો ફ્રંટ ઉભો કરે છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પોતાનું એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથબંધીને લઈને અનેક આરોપો લાગ્યા હતા ત્યારે VTV ન્યૂઝ સાથે વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના કાર્યવારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટીના અમુક નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ખેડૂતોનું આયોગ હોવું જરૂરી છે
હાર્દિક પટેલે ખેડૂતોની સમસ્યાઓની વાતને લઈ આયોગની માગણી કરી છે. હાર્દિકે કહ્યું કે, દેશ ખેતીપ્રધાન છે. અને તેમ છતાં ખેડૂતો માટે આયોગ નથી. જેમ મહિલાઓ માટે આયોગ છે. તેવી રીતે ખેડૂતો માટે પણ એવું આયોગ જરૂરી છે. જેનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ
ટિકિટ વિતરણમાં કોંગ્રેસની નબળાઈ મુદ્દે પણ હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવું જરૂરી છે. જે કાર્યકરો પાર્ટી માટે મહેનત કરે છે. તેમને ટિકિટ મળવી જોઈએ. અને અમે કાર્યકરોની મહેનતથી જ સરકાર બનાવીશું. જે દિવસે કોંગ્રેસની સરકાર બનશે. ત્યારે લોકો કહેશે કે, 30 વર્ષથી અમારી ભૂલ હતી. કોંગ્રેસ જ સરકાર લાયક કામગીરી કરશે.
અલ્પેશ કથિરીયા વિશે હાર્દિકનું નિવેદન
સુરતમાં ટિકિટ વિતરણથી નારાજ અલ્પેશ કથિરીયા વિશે પણ હાર્દિકે નિવેદન આપ્યું છે. અલ્પેશ અને તેની ટીમ તેની જગ્યાએ સાચી છે. કોંગ્રેસ તેની જગ્યાએ સાચી છે. હું પણ આંદોલનકારી છું. અને જે લોકોએ મહિનાઓ સુધી જેલમાં પસાર કર્યા હોય. તેમની પોતાની માગણી હોઈ શકે છે. પરંતુ કોંગ્રેસ દ્વારા જે તે પરિસ્થિતિને અનુરૂપ ટિકિટનું વિતરણ કરાયું હશે.
ઓવૈસી અને આમ આદમી પાર્ટી અંગે હાર્દિકનો દાવો
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી અંગે હાર્દિકે કહ્યું કે, હું કોઈની વાત કરવા માગતો નથી. મારી લડાઈ ભાજપ વિરુદ્ધ છે. એવૈસીની પાર્ટીનું ગુજરાતમાં આગમન મુદ્દે હાર્દિકે ભાજપ પર ઠિકરું ફોડ્યું છે. ઓવૈસીની પાર્ટી લઘુમતી સમાજના મત તોડશે. તેવા સવાલ પર હાર્દિકે કહ્યું કે, ભાજપ જ આ પાર્ટીને લાવી છે. જ્યારે જ્યારે ભાજપને લાગ્યું કે, તેઓ હારી રહ્યા છે. ત્યારે તેમણે ત્રીજો ફ્રંટ ઉભો કર્યો છે. 2007થી 2017 સુધીનો ઈતિહાસ જોઈ લો.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બધુ જાણે છે : હાર્દિક પટેલ
નોંધનીય છે કે કોંગ્રેસમાં વિરુદ્ધમાં કામ કરનારાઓનું લીસ્ટ તૈયાર હોવાનો દાવો પણ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું હતું કે પાર્ટીને બદનામ કરનારા ઘણા લોકો પાર્ટીમાં છે અને ભાજપની ખેતીને લીલીછમ રાખવાનું કામ કોંગ્રેસના જ કેટલાક ગદ્દાર નેતાઓ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં ગદ્દારો કોણ છે તેની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જાણ છે અને પાર્ટી હાઇકમાન્ડ બધુ જ જાણે છે.
સત્તા આવે કે ના આવે જનતાની સેવા કરીશું : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે પાર્ટીની વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે તેમની સામે પગલા લેવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્તર પર પાર્ટીના નેતાઓ ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે આપણે લડવું હોય તો જનતાની સેવા કરવી જ પડશે. તેમણે કહ્યું કે સત્તા આવે કે ન આવે જનતા સેવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે.