હાર્દિક રામી ઓક્સિજન ઘટી જતાં ઘોડા ઉપર જ ઢળી પડ્યો, સાથે રહેલા ત્રણ મિત્રો ગુજરાત સરકારની મદદથી વિમાન મારફતે મૃતદેહ વતન લાવ્યા
પાટણના યુવાનની અમરનાથ યાત્રા બની અંતિમ યાત્રા
ઓક્સિજન લેવલ ઘટી જતા યુવાનનું થયુ મોત
અમરનાથ ગુફા નજીક બની ઘટના
પાટણના એક યુવકની અમરનાથ યાત્રા અંતિમ યાત્રા બની બની છે. બાબા બર્ફીલાના દર્શન કરવા નીકળેલા હાર્દિક રામીને અમરનાથ ગુફા 10 કિમી જ દૂર હતી ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અચાનક ઓક્સિજન ઘટી જતાં યુવક ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતો. અને જોત જોતમાં પ્રાણ પંખેરી ઉડી ગયું હતું. આજે વિમાન મારફતે મૃતદેહ વતન લાવવામાં આવતા પરિવારજનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. સમગ્ર પાટણ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું .
15 જુલાઇ નીકળ્યા હતા પ્રવાસ પર
આપને જણાવી દઈએ કે અમરનાથ દર્શન કરવા માટે 15 જુલાઇના રોજ તમામ મંજૂરી સાથે હાર્દિક રામી તેના ત્રણ મિત્રો આશિત તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ સાથે ગયો હતો. જે બાદ 19 જુલાઇના રોજ તે અમરનાથ ગુફા 10 15 કિમી દૂર હતા ત્યાં પહોંચી ગયા હતા. તમામ મિત્રો આગળ પાછળ ઘોડા પર સવાર થઈને જતા પણ અચાનક જ હાર્દિક રામીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. પાતળી હવાને કારણે ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતા હાર્દિક રામીએ ચાલતા ઘોડા પર જ માથું નાખી દીધું હતું.
મિત્રોએ પરિવારને જાણ કરી
હાર્દિકની આજુબાજુના લોકોએ ચીસાચીસો કરતા તેના ત્રણ મિત્રો પણ દોડી આવ્યા હતા. પણ ત્યાં સુધી શ્વાસના ડૂસકાં લેતા લેતા હાર્દિક શિવધામ પહોંચી ગયો હતો. બાદમાં સમગ્ર બનાવની જાણ પરિવારના કેટલાક સભ્યોને કરવામા આવી હતી. જેથી તેઓ પણ દિલ્હી આવવા રવાના થઈ ગયા હતા. પણ અમરનાથ જવા રુટ પર પરમીશન ન મળતા તે દિલ્હી રોકાઈ ગયા હતા. મિત્રો અને સંબંધીઓએ બનાવ અંગેની જાણ પાટણના નેતાઓને કરી હતી જેમણે આ વાત ગુજરાત સરકાર સુધી પહોંચાડી હતી.
ગુજરાત સરકારે મૃતદેહ પરત લાવવા કરી મદદ
બાદમાં મિત્રો મૃતક હાર્દિક રામીને સોનમર્ગ સુધી લઈ આવ્યા હતા. જ્યાં પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરી કાગજિય તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહ દિલ્હી સ્થિત પરિવારના સભ્યોને સોંપ્યો હતો. અમદાવાદથી પાટણ લાવવા માટે ગુજરાત સરકારે તમામ બનતી મદદ કરી હતી.
પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનું મોજું
હાર્દિકના ત્રણ મિત્રો સાથે પાર્થિવદેહને ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદથી મૃતદેહ પાટણ લઈ જવામાં આવ્યો હતો અને પરિવારનાં આક્રંદ અને મિત્રોના હૈયાફાટ રુદન વચ્ચે હાર્દિકના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.