કહેવાય છે કે બંધ બારણે ઘણું બધું થઈ જતું હોય છે. રાજ્યમાં લોકસભા મતદાનને માત્ર અમુક કલાકોની જ વાર છે. તેવામાં બંધ બારણે બેઠકોનો દોર શરૂ થયો છે. તે પણ એક એવા વ્યક્તિ સાથે જેમનું પાટીદારો પર પ્રભુત્વ છે. એક એવો વ્યક્તિ જે જાહેરમાં તો કોઈ પક્ષને સમર્થન નથી આપતો. પરંતુ અંદર ખાતે બંને પક્ષને સાચવવામાં માહેર છે. જેની સાથે હાર્દિકથી લઈને પાટીદાર નેતાઓ બંધ બારણે બેઠક કરી રહ્યાં છે.
લોકસભાની દરેક ચૂંટણીમાં દરેક સમાજનાં ફેક્ટર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તેમાં પણ સૌરાષ્ટ્રની વાત ત્યારે એવું કહેવાય છે કે, પાટીદારો સમાજ કઈ તરફ ઝૂકે છે તેનાં પર બંને પક્ષની હાર જીતનો મોટો મદાર છે. એટલું જ નહીં પરંતુ ખોડલધામ ટ્રસ્ટ અને તેનાં ચેરમેનનું વલણ પણ નિર્ણાયક ગણાય છે. આપણે વાત કરી રહ્યાં છીએ નરેશ પટેલની કે જેઓ દર વખતે ઘીમાં ઠામમાં પોતાનાં હાથ રાખીને ભાજપ-કોંગ્રેસ સામે બંધ બારણે બેટિંગ કરે છે. તેવામાં મતદાનની ગણતરીનાં કલાકો જ પહેલાં હાર્દિક અને ત્યાર બાદ દિનેશ બાંભણિયા સાથે બંધ બારણે મિટિંગ થતાં જ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે બીજી તરફ દિનેશ બાંભણિયાએ વીટીવી સાથે વાત પણ કરી હતી.
મહત્વનું છે કે,નરેશ પટેલ હંમેશાથી એક ચર્ચાનો વિષય રહ્યાં છે. ખાનગીમાં કોઈ રાજકીય પક્ષને ટેકો કરે પરંતુ જાહેરમાં તેનાં વિશે એક શબ્દ સુદ્ધાં ઉચ્ચારવાનું ટાળે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પછી તરત રાજકોટ બેઠક માટે નરેશ પટેલનાં પુત્ર શિવરાજનું નામ ચર્ચાવા આવ્યું હતું અને 'ભાઈ આવે છે'નાં પોસ્ટર પણ લાગી ગયાં હતાં. છેલ્લી ઘડીએ પરિવારની નામરજીનું કારણ આગળ ધરીને શિવરાજ ફસકી ગયા હતાં. એ વખતે પણ નરેશ પટેલે પોતે મગનું નામ મરી પાડ્યું ન હતું.
અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલના અંગત ગણાતાં મિતુલ દોંગા અને દિનેશ ચોવટિયા કોંગ્રેસ વતી ચૂંટણી લડ્યાં હતાં. હવે હાર્દિક સાથે બંધબારણે બેઠક કર્યા પછી પણ નરેશ પટેલે મૌન સેવી લીધું છે. એટલે કે ન બોલવામાં નવ ગુણ. આજે પણ નરેશ પટેલની એ જ કળા જોવાં મળી. જે વર્ષોથી જોતાં આવીએ છીએ. પરંતુ હાર્દિક સાથેની મુલાકાત બાદ સમાજ પર કેવી અસર થશે તો તે આગામી ચૂંટણીનાં પરિણામ બાદ જ જાણી શકાશે.