ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સૂર બદલાયેલા નજરે ચઢી રહ્યા છે. ત્યારે હવે હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર વચ્ચે ગજગ્રાહ ખુલ્લો પડ્યો છે.
ફરી કોંગ્રેસ નેતૃત્વ સામે નારાજગી
પાટીદારોની અવગણનાનો ઉઠાવ્યો મુદ્દો
હાર્દિકના ટ્વીટમાં પણ ગજગ્રાહ ખુલ્લો થયો
સમય સાથે સૂર બદલાતા વાર નથી લાગતી. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે... તેવી ચર્ચા તો ચાલી જ રહી છે. ત્યાં હવે હાર્દિક પટેલ ચૂંટણી પહેલા ભાજપમાં આવે છે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. કારણ કે, જે હાર્દિકના 25 ઓગસ્ટ, 2015માં ભાજપ વિરુદ્ધ જે સૂર હતા. તે આજે નરમ તો પડ્યા જ પરંતુ હાર્દિક ભાજપના ગુણગાન ગાય રહ્યો છે. જ્યારે સી.આર.પાટીલ પણ હાર્દિકના વખાણ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર વચ્ચે ગજગ્રાહ ખુલ્લો પડ્યો છે.
હાર્દિકના ટ્વીટમાં પણ ગજગ્રાહ ખુલ્લો થયો
હાર્દિક પટેલે 25 એપ્રિલે યુવા સ્વાભિમાની સંમેલન બોલાવ્યું છે. આ પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો ફોટો ના દેખાતા વિવાદ સર્જાયો છે. પોસ્ટરમાં પ્રભારી અને યુવા મોરચાના પ્રમુખનો ફોટો મુક્યો છે. કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ પ્રમુખનું નામ પણ ગાયબ છે. જોકે હાર્દિક પટેલ અગાઉ પણ સ્ટેટ લીડરશીપ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.
હાર્દિકના નિવેદન પર જગદીશ ઠાકોરે વ્યક્ત કરી નારાજગી
હાર્દિકને મનાવવાના પ્રયાસ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આકરું નિવેદન આપી ચૂક્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, પક્ષની આંતરિક બાબતો મીડિયામાં કહેવાની ન હોય. હું મીડિયામાં જવાબ આપું એ વ્યાજબી નથી. પાર્ટી પાર્ટીનું કામ કરતી હોય છે. અગાઉ મારે હાર્દિક જોડે વાત થઈ હતી. હમણાં બે દિવસથી કોઈ વાત થઈ નથી. તો બીજી તરફ હાર્દિક પટેલ જાય તો બીજા 10 MLA જવાની ભીતિ કોંગ્રેસમાં સેવાઈ રહી છે.
હાર્દિક પટેલે હિંમત કરી છે તેની હિંમતને દાદઃ CR પાટીલ
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું હાર્દિક પટેલને લઇને નિવેદન આપ્યું હતું. સી.આર.પાટીલે હાર્દિક પટેલની હિંમતને બિરદાવી હતી. પાટીલે કહ્યું કે, હાર્દિક પટેલે ભાજપની કામગીરીની પ્રશંસા કરી. આવી પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માગે છે પણ હિંમત કરતા નથી. હાર્દિક પટેલે હિંમત કરી છે તેની હિંમતને દાદ.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ, કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપ સરકારની વિવિધ કામગીરી અચાનક જ પંસદ આવવા લાગી છે. કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીની કામગીરીના વખાણ કરી દરેકને ચોંકાવી દીધા હતા. જેમાં તેમને રામ મંદિર તથા કલમ 370 જેવા કામના વખાણ કર્યા હતા. હાર્દિકે આ વખાણ ત્યારે કર્યા હતા જ્યારે તેમની કોંગ્રેસ પાર્ટીને લઈ નારાજગીના સમાચારો સામે આવી રહ્યા છે. તો એવામાં ફરીથી કોંગ્રેસના અન્ય એક નેતાને પણ ભાજપ સરકારની કામગીરી સારી લાગી રહી છે. કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ સરકારના જાહેરમાં વખાણ કરી. સરકાર દ્વારા અપાતા વિના મુલ્યે અનાજ વિતરણ યોજનાને બિરદાવી છે. કોંગ્રેસના આ નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા ભાજપ સરકારના વખાણને લઈ અટકળો તેજ બની છે કે, તેઓ આગામી સમયમાં ભાજપમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે તેના વોટ્સએસ પ્રોફાઈલમાંથી કોંગ્રેસનુ સિમ્બોલ પણ હટાવી દીધુ છે.