સુરતઃ કામરેજમાં રસ્તા પર ટાયરો સળગાવવા અને ચક્કાજામ કરવાના મુદ્દે આજે હાર્દિક પટેલ સુરતની કઠોર કોર્ટમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કઠોર કોર્ટે હાર્દિકને રૂ. 7500ના બોન્ડ પર શરતી જામીન આપ્યા હતા.
આ દરમિયાન પોતાના આમરણાંત ઉપવાસને લઈને હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે આગામી 25મી તારીખે આમરણાંત ઉપવાસ તો થશે જ. સરકાર જગ્યા આપવા માગતી નથી. પરંતુ ભાજપ દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન કોઈ રાજકીય નથી કે કોંગ્રેસ પ્રેરિત પણ નથી.
આમરણાંત ઉપવાસ આંદોલનને લઈ હાર્દિકની મુશ્કેલી વધી
25મી ઓગસ્ટે ઉપવાસ આંદોલન માટે હાર્દિક પટેલની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઇ રહી. હાર્દિકે ઉપવાસ માટે ઘરની બહાર ટેન્ટ લગાવ્યો તો તે પણ જમીન માલિકે ના પાડી દેતા હટાવી દેવાયો છે.
તો બીજી તરફ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસની મંજૂરી માગી છે. જો કે હજુ મંજૂરી પર મહોર નથી લાગી.હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઇને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે.
અમદાવાદમાં પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે. કલમ 144 લાગુ કરીને ઉપવાસ આંદોલનને વેગ પકડતું અટકાવવા પ્રયાસ કર્યો છે.