ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગુજરાત પ્રદેશ નેતૃત્વ સાથે નારાજગી સતત વધી રહી છે. ત્યારે હવે તેમની નારાજગીને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ઉદયપુરમાં રાષ્ટ્રીય કોંગ્રેસની ચિંતન શિબિરથી હાર્દિક પટેલ ગેરહાજર
આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશઃ હાર્દિક
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 2017ની ચૂંટણીના સમયે ભાજપને કોંગ્રેસે ટક્કર આપી હતી. જેમાં હાર્દિક પટેલનો મહત્વનો ફાળો હતો. કોંગ્રેસના સારા પ્રદર્શન પાછળ પાટીદાર અનામત આંદોલનની મહત્વની ભૂમિકા હતી. ભાજપ સરકાર વિરૂદ્ધ પટીદાર આંદોલન ઉભુ કરનારો મુખ્ય ચેહરો હાર્દિક પટેલ હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલની કોંગ્રેસની સાથે નારાજગી સામે આવી રહી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટુંક સમયમાં હાર્દિક પટેલ મોટો નિર્ણય લઇ શકે છે.
શું હશે હાર્દિક પટેલનો મોટો નિર્ણય?
મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ આગામી અઠવાડિયે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ તેઓ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. જણાવાઈ રહ્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેમની આ નારાજગી રાજકારણમાં અનેક ચર્ચાઓને જોર આપી રહી છે. હજુ સુધી હાર્દિકે પોતાના આગામી નિર્ણય તરફ કોઈ ઇશારો નથી કર્યો, પહેલા એ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં રહેવાના છે. પરંતુ હજુ સુધી તેમની માંગો પર યોગ્ય વિચાર નથી થયો, તેવામાં તેઓ જલ્દી કોઈ મોટો નિર્ણય લેતા નજરે પડી શકે છે. હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છું, આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશ.
નારાજગીનું શું છે કારણ ?
હાર્દિક પટેલને પોતાની જવાબદારીઓને લઇને કઇ પણ સ્પષ્ટ નથી થયું. તેમને માત્ર કહેવાના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે, પરંતુ તેમને કરવાનું શું છે, તે પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ નથી કર્યું. હાર્દિક પટેલનો આક્ષેપ છે કે ગુજરાતમાં કેટલાક કોંગ્રેસના જ નેતા તેમના કામ નથી કરવા દઇ રહ્યા.
હાર્દિક ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતા
હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. કોંગ્રેસમાં OBC અને દલિત સમાજના પ્રભુત્વનો હાર્દિકનો મત છે. હાર્દિક પટેલને ભાજપમાં યુવા પાટીદાર નેતા બનવાની ઇચ્છા છે. હાર્દિક પાટીદાર આંદોલનના સાથીઓ સાથે બેઠક કરી નિર્ણય લે તેવી સંભાવના છે.
હાર્દિક, અલ્પેશ અને નરેશ પટેલ વચ્ચે મળશે બેઠક
તો બીજી તરફ નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. ત્યારે તેમના રાજકીય પ્રવેશ પહેલા નરેશ પટેલ સાથે બેઠક યોજાશે. હાર્દિક પટેલ, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે બેઠક મળશે. આગામી 2 દિવસમાં આ બેઠક યોજાશે.બેઠકમાં આંદોલનના જૂના સાથીઓ પણ ઉપસ્થિત રહેશે.
આમંત્રણ હોવા છતાં હાર્દિક પટેલે કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગેરહાજર
આજથી ઉદયપુરમાં ત્રણ દિવસીય કોંગ્રસના ચિંતન શિબિરની શરૂઆત થઈ છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ચિંતન શિબિરમાં દેશના વર્તમાન રાજકીય, આર્થિક, સામાજિક માહોલ અને તેના પડકારો પર વિચારણા થવાની છે. આ ચિંતન શિબિરમાં કોંગ્રેસના અનેક નેતાઓને આમંત્રણ અપાયુ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના 18 નેતાઓ પણ આ ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યારે હાર્દિક પટેલને આમંત્રણ હોવા છતાં તેને ચિંતન શિબિરમાં જવાનુ ટાળ્યુ છે. જે દર્શાવે છે કે હવે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે ક્યાંકને ક્યાંક છેડો ફાડવાની તૈયારીમાં છે.
आज दाहोद में श्री राहुल गांधी जी के नेतृत्व में आयोजित आदिवासी सत्याग्रह में मैंने संबोधित किया। pic.twitter.com/vrf3r75iC7
અગાઉ હાર્દિક પટેલે પ્રદેશના નેતૃત્વ પર પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી. તેમની આ નારાજગીને પગલે તેઓ પ્રદેશ કોંગ્રેસના અનેક કાર્યક્રમોમાં ગેરહાજર પણ રહ્યા હતા. ગુજરાતના નેતૃત્વને લઈ નારાજગીને પગલે તે પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં ગેરહાજર રહે તે એક હદે વ્યાજબી પણ ગણાય. પરંતુ CWC દ્વારા યોજાયેલા ચિંતન શિબિરમાં પણ તેમની ગેરહાજરી ક્યાંકને ક્યાંક એ દર્શાવે છે કે, હાર્દિકનો કોંગ્રેસને લઈ મોહ ભંગ થઈ રહ્યો છે. હાર્દિકની નારાજગી વચ્ચે એવી પણ ચર્ચા સામે આવી હતી કે, તે હવે ભાજપમાં સામેલ થઈ શકે છે. અગાઉ હાર્દિકે મીડિયા સમક્ષ ભાજપ સરકારના કામોના પણ વખાણ કર્યા હતા.
દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ
વર્ષ 2019માં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને હોંશેહોંશે પાર્ટીમાં આવકાર્યા હતા. પરંતુ ગત દિવસોમાં દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, બન્ને એકલામાં મળ્યા નહોતા. હાર્દિક જેલમાં ગયા હોવા છતાં દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ થયા છે. માનવામાં આવે છે કે પાછલા કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.
રાહુલ ગાંધીને મળવા દિલ્હી જશે હાર્દિક પટેલ
દાહોદના કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી અને તેમની વચ્ચે મંગળવારે વ્યક્તિગત મુલાકાત નહોતી થઈ. થોડીવાર માટે મળ્યા અને તેમણે જાહેર રેલીને સંબોધવાની હતી અને તે પછી રાહુલ ગાંધી આદિવાસીઓ ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરવાના હતા. મારી તેમની સાથે હળવી મુલાકાત થઈ હતી અને મેં ત્યાંથી પરત ફરવા માટે મંજૂરી લીધી હતી. મારે એક અઠવાડિયામાં તેમને દિલ્હીમાં મળવા જવાનું છે.