સુરતઃ રાજ્ય સરકાર દ્વારા બિન અનામતના ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ભરતીમાં 5 વર્ષની છૂટ આપતો નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણય મુજબ સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળશે. ત્યારે આ મામલે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી.
હાર્દિક પટેલે કહ્યું કે, સરકારનો પરિપત્ર છે બિન અનામત ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તેને આવકારીએ છીએ. પરંતુ જે જુના પરિપત્રો છે બિન અનામત આયોગના, યુવા સ્વાવલંબન યોજનાના જેનો દરેક લોકોને યોગ્ય રીતે લાભ મળે તે પ્રાથમિકતા છે. કારણ કે બિન અનામત આયોગમાં જેટલા પણ સરકારે પરિપત્રો જાહેર કર્યા છે તે હજુ યોગ્ય રીતે લોકો સુધી પહોંચ્યા નથી.
વધુમાં તેમણે કહ્યું કે, અમારી આજ માગણીઓ હતી કે અનામતનો લાભ મળે પરંતુ નોકરીઓ ક્યાં છે? અને વય મર્યાદા વધારી છે તો શેમાં વધારી છે? શું રાજ્ય અને કેન્દ્રની તમામ પરિક્ષાઓમાં લાભ મળશે કે નહીં? કારણ કે અગાઉ સરકારી રજૂ કરેલા પરિપત્રોના લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચ્યા નથી. તેથી યોજનાઓનો લાભ મળવો જોઇએ.
હાર્દિકે કહ્યું કે, અમારી કેટલી માગણીએ સરકારે સ્વીકારી રહી છે. પરંતુ આ માગણી સાચી હતી, ગરીબોની હતી. સરકાર ધીરે ધીરે માગણીઓ પુરી કરતી હોય તો અમે સ્વીકારીએ છીએ. આ અનામત અને યોજનાઓનો ગરીબ કુટુંબોને લાભ મળે અને જો સરકાર વ્યવસ્થિત ધ્યાન આપે તો ગુજરાતના યુવાનોને નોકરીઓ મળી શકે છે.
સરકાર પર પ્રહાર કરતા હાર્દિકે કહ્યું કે, અમારા મુદ્દાઓ સાચા અને યોગ્ય હતા. આ મુદ્દાઓ યોગ્ય છે એટલે ઉઠી રહ્યા છે. ત્યારે આટલા બધા આંદોલનો અને મુદ્દાઓ છેલ્લા પાંચ વર્ષમાં ઉઠવા એ સરકારની ખોટી નીતિ હોઇ શકે છે.