આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો અને સવર્ણોને અનામત મંજૂર કરી છે. કેન્દ્રીય કેબિનેટે આજે નિર્ણય લેતા સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી છે. આવામાં કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. આ મુદ્દે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે કહ્યું હતું કે સરકારની જાહેરાતથી એટલું તો સાબિત થયું કે અનામત આપી તો શકાય.
હાર્દિકે આગળ જણાવ્યું હતું કે સરકારે અનામતનો આ નિર્ણય પહેલાં લીધો હોત તો અમારે આટલું ભોગવવું પડ્યું ન હોત. અત્યાર સુધી અનામતના નામે સરકારે અમારી વચ્ચે ભાગલા પાડવાની કોશિશ કરી. જો આ અનામત બંધારણીય હોય તો અમે આ અનામતને આવકારીએ છીએ તેમ હાર્દિકે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આશા રાખીએ છીએ લોકસભા ચૂંટણી આવી રહી છે એટલે ઉતાવળે નિર્ણય ન કર્યો હોય.
હાર્દિકે કહ્યું કે અમને સરકારની નિયત પર સવાલ ઊભાં થાય છે. આનંદીબેન સરકારની જેમ મોદી સરકાર પણ મજાક કરતી હોય તેવું લાગે છે. સરકાર માત્ર લોલીપોપ આપીને ખુશ કરવા માંગે છે. જો આ અનામત બંધારણીય નહીં હોય તો અમે તેનો મજબૂત રીતે વિરોધ કરીશું. 15 લાખ જેવો બફાટ હશે તો પણ અમે વિરોધ કરીશું. સરકારે ચૂંટણીને 2 માસનો સમય બાકી છે ત્યારે જ આ જાહેરાત કરી છે તેથી જાહેરાત ચૂંટણીલક્ષી હોવાની અમને શંકા છે. તેમ જ સંસદ સત્ર પૂરું થવામાં માત્ર એક દિવસ બાકી છે ત્યારે જ આ જાહેરાત કરાઈ છે તેમ હાર્દિકે જણાવ્યું હતું.