સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને એક શખ્સે સ્ટેજ પર આવીને લાફો માર્યો હતો. આ મામલે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા હતાં. ત્યારે હવે અલ્પેશનાં નિવેદન પર હાર્દિકે એવી પ્રતિક્રિયા આપી છે કે, 'અલ્પેશ ઠાકોર વાણી વિલાસ ખોઈ ચૂક્યાં છે. બિન ગુજરાતીવાળાં નિવેદન સમયે અલ્પેશ ઠાકોર વાણી વિલાસ ખોઈ બેઠા હતાં. અલ્પેશે હાર્દિક પટેલને 14 પાટીદારનાં મોતનો જવાબદાર પણ ઠેરવ્યો હતો.
એક સમયનાં હાર્દિક પટેલનાં સાથી અલ્પેશ ઠાકોરે સલાહ આપતાં કહ્યું કે, હાર્દિક પટેલે રાજનીતિ પસંદ કરતાં પાટીદાર સમાજમાં રોષ છે અને હાર્દિક પટેલનાં કારણે ગુજરાતની જનતાને પણ ઠેસ પહોંચી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હાર્દિક પટેલનાં નિવેદનો ઉશ્કેરણીજનક છે. જેથી હાર્દિક પટેલે આવાં વાણી વિલાસથી દૂર રહેવું જોઈએ. હું અપેક્ષા રાખું છું કે ગુજરાતનો ભાઇચારો, ગુજરાતની સદભાવના અને ગુજરાતની અસ્મિતાને ક્યાંય ઝાંખપ ના પહોંચે અને હવે આનાંથી બોધપાઠ લે આવનારા ભવિષ્યમાં આવો એક પણ બનાવ ન બને એવી વાણીવિલાસ ના કરે તેવી હું સલાહ પણ આપું છું.'
ઉલ્લેખનીય છે કે હાર્દિકને લાફો મારવાની ઘટના અંગે અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 'હાર્દિક પટેલે રાજનીતિ પસંદ કરતા પાટીદાર સમાજમાં રોષ છે. હાર્દિક પટેલનાં કારણે ગુજરાતની શાનને ઠેસ પહોંચી છે. આંદોલન સમયે હાર્દિકે લોકોને હિંસા માટે ઉશ્કેર્યા હતાં. હાર્દિકનાં નિવેદનો ઉશ્કેરણીજનક રહ્યાં છે.'
વધુમાં અલ્પેશે જણાવ્યું હતું કે, 'કોઇ પણ આંદોલનકારીઓએ ઉશ્કેરીજનક નિવેદનથી દૂર રહેવું જોઇએ. હાર્દિકે પોતાનો વાણીવિલાસ બંધ કરી દેવો જોઇએ. હાર્દિક પટેલે યુવાનોને ગેરમાર્ગે દોર્યા છે. પાટીદાર સમાજ હવે હાર્દિક સાથે નથી.'
અત્રે મહત્વની બાબત છે કે, વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર સોમાભાઈ પટેલનાં પ્રચાર માટે હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલ સ્ટેજ પર પ્રવચન કરી રહ્યાં હતાં તે જ સમયે સ્ટેજ પર અચાનક એક શખ્સે હાર્દિક પટેલને જાહેરમાં લાફો ઝીંકતા ઘટનાસ્થળે ભારે દોડધામ મચી જવા પામી હતી તેમજ હોબાળો થયાં બાદ ત્યાં કેટલાંક યુવાઓને તે યુવકને પણ ઢોર માર માર્યો હતો.