હાર્દિક પટેલ પણ PM મોદીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા
હાર્દિક પટેલના રાજીનામા બાદ હાર્દિક પટેલને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં તારીખ 28મેના રોજ PM મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે. જેમાં હાર્દિક પટેલ પોતે હાજર રહેશે તેવી શક્યતા સેવાઇ રહી છે. એ સિવાય ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
PM મોદી સવારમાં ગાંધીનગર તો સાંજે રાજકોટમાં લોકોને સંબોધન કરશે
ઉલ્લેખનીય છે કે, પહેલાં PM મોદી 29મી મેના રોજ ગુજરાત આવવાના હતા પરંતુ તેઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. તેઓ 29મેના બદલે 28મેના રોજ ગુજરાત આવશે. જેમાં PM મોદી સવારમાં ગાંધીનગર તો સાંજે રાજકોટમાં લોકોને સંબોધન કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના કાર્યક્રમના દિવસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 29 મે ના બદલે હવે 28મેના રોજ પીએમ મોદી ગુજરાત આવશે.
2 લાખ પાટીદારોને સંબોધન કરશે PM મોદી
મહત્વનું છે કે 28મી એ સવારે ગાંધીનગરમાં સહકાર મહાસંમેલન પીએમ મોદી સંબોધન કરશે તે બાદ સાંજે રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 2 લાખ પાટીદારોને સંબોધન કરશે. આપને એ પણ જણાવી દઈએ કે રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્ર્મ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી લેવામાં આવી છે. પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે જ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નિવેદન આપ્યું હતું કે, 'સમાજના તમામ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.' જસદણના આટકોટ ગામે 28મેના રોજ 40 કરોડના ખર્ચે બનેલી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું PM મોદી લોકાર્પણ કરશે. આ હોસ્પિટલ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે જેમાં 200 બેડની સુવિધા છે. હોસ્પિટલ 24 ડિપાર્ટમેન્ટની OPD સાથે શરૂ થશે અને સારવાર રાહત દરે કરવામાં આવશે.
એકબાદ એક પાટીદાર કાર્યક્રમોમાં PM મોદીની સૂચક હાજરી
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પાટીદાર મહત્વનું ફેક્ટર છે. પાટીદાર ફેક્ટર માટે ખુદ પીએમ મોદીએ જ જવાબદારી લીધી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી પાટીદાર સમુદાયમાં એક બાદ એક કાર્યક્રમોનું સંબોધન કરી રહ્યા છે. સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો બીજી તરફ કચ્છમાં 15મી એપ્રિલના રોજ 150 કરોડના ખર્ચે નિર્માણ પામેલી કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યારે હવે રાજકોટમાં પણ એક પાટીદાર સમાજની હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવશે. આ ઉપરાંત પાટીદારોના જુનાગઢ ગઢીલા માતાજીના કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી.