હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે પણ આજે પણ પાટીદાર આંદોલન વખતે યુવાનો પર થયેલા કેસનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે આજે હાર્દિકે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
પાટીદારો પર લાગેલા કેસ પરત ખેંચવા મુદ્દે કહ્યું, કોઈ નહીં કરે, હું જ કરાવી આપીશ
હું બહુ જિદ્દી માણસ છું
જે મુદ્દા બાકી રહી ગયા છે તે કોઈ નહીં કરે, હું જ કરાવી આપીશ: હાર્દિક પટેલ
VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2015માં આંદોલન કર્યું અને તે બાદ અનામત મળ્યું એટલે આંદોલન સમેટાઇ ગયું, પણ બે મુદ્દા રહી ગયા હતા કે કેસ અને જે શહીદ થયા તેમના પરિવારને સરકારી નોકરી આપવી. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં 19 દિવસના ઉપવાસ કર્યા છે, અને આ બંને મુદ્દાઓનું સમાધાન કરવું જોઈએ અને કોઈ નહીં કરે હું જ કરીશ, હું જ કરાવી આપીશ. આ વાત હું વચન સાથે કહું છું. હું જિદ્દી માણસ છું અને મુદ્દો પકડી લઉં પછી કરીને જ રહીએ છે.
એક સપ્તાહમાં હાર્દિક પટેલ કરશે મોટું એલાન
ગુજરાતનો પાટીદાર ચહેરો અને દિગ્ગજ યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે જનતાની અંદર ઘણા બધા સવાલ હાર્દિક પટેલને લઈને ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે તેમણે તમામ સવાલો પર જવાબ આપ્યો છે. VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે વારંવાર કહ્યું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.
ચૂંટણી લડશે હાર્દિક પટેલ
નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે પણ ખુલાસો કર્યો છે કે હું એકમાત્ર એવો આંદોલનકારી છું કે જે ચૂંટણી લડી શક્યો નથી, પહેલા મારી ઉંમર નાની હતી અને તે બાદ મારા પર કેસ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મોકો મળી રહ્યો છે ત્યારે હવે ચૂંટણી લડીશ અને જીતીશ. જોકે કઈ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી.
યુવાનોના એ મુદ્દાને લઈને પાર્ટીમાં જોડાઈશ
હાર્દિક પટેલે કહ્યું કે મારે રાજકારણમાં બે મોટા પ્લાન છે, એક તો સરકારી નોકરી માટે જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં પેપર ફૂટી જાય છે ત્યારે આ મુદ્દે કડક કાયદા બનાવવાની જરૂર છે અને આ સાથે ગુજરાતમાં કામ કરતી કંપનીઓને કડક આદેશ આપવામાં આવે કે ગુજરાતીઓને રોજગારમાં પ્રાથમિકતા આપવામાં આવે, કોલેજની અંદર પણ વિદ્યાર્થીઓને નોકરી આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
મારી સાથે પાંચ મિનિટ વાત કરી હોત તો રાજીનામું ન આપ્યું હોત: હાર્દિક પટેલ
VTV ગુજરાત સાથે એકસલુઝિવ વાતચિતમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી પર ફરીથી ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધીએ માત્ર પાંચ મિનિટ પણ આપી દીધી હોત તો હું રાજીનામું ના આપેત. તેમણે કહ્યું કે માત્ર હું જ ન નહીં, કોંગ્રેસ પાર્ટી છોડીને જેટલા નેતાઓ જઈ રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ પાંચ મિનિટનો પણ ટાઈમ આપ્યો નથી. હાર્દિક પટેલે કહ્યું કે દાહોદની સભામાં પણ રાહુલ ગાંધીએ મને પાંચ મિનિટનો સમય આપ્યો નથી.
'કપ્લીનો' મારો વિરોધ જ કર્યા રાખે છે: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, હું કોઈનો જનમજાત વિરોધી નથી હું માત્ર કોઈની નીતિનો વિરોધી હોઈ શકું કે કોઈ યોજનાનો વિરોધી હોઈ શકું. જ્યારે કલમ 370 હટાવાઈ ત્યારે હું કોંગ્રેસમાં હતો છતાં પણ મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા જ હતા. પરંતુ હું જ્યારે કોંગ્રેસમાં ન હતો કે કોંગ્રેસમાં જોડાયો કે પછી કોંગ્રેસ છોડ્યું તેમ છતાં અમુક 'કપ્લીનો' મારો વિરોધ કરતી રહી અને કરતી જ રહેશે. એટલે અમુક લોકોને માત્ર વિરોધ કર્યા સિવાય કશું આવડતું નથી હોતું.