લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં દરેક પક્ષો પોતાની વાત મતદારો સુધી પહોંચાડવા સજ્જ થઈ રહ્યા છે. આ શ્રેણીમાં એવા લોકો પણ છે જે ભલે કોઈ પક્ષ સાથે ન જોડાયેલા હોય પરંતુ પોતાનો મત અને પોતાની વાતના સમર્થકો વધારી રહ્યા છે. રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવોના બેનર હેઠળ યોજાયેલી રેલીના ઘણા સૂચિતાર્થ છે. કેટલાક પરદા પર છે તો કેટલાક પરદા પાછળથી સંચાર કરી રહ્યા છે.
ઠીક લોકસભા ચૂંટણી પહેલા રાજકોટમાં હજુ કોઈ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થયો નથી. પરંતુ સંવિધાન બચાવો દેશ બચાવોના બેનર હેઠળ જાણે સત્તા વિરોધી પ્રચાર બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. રાજકોટમાં યોજાયેલી રેલીમાં પાસ નેતા હાર્દિક પટેલ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને એએમયુ વિદ્યાર્થી નેતા કનૈયાકુમારની ત્રિપુટી જોવા મળી. જેમણે રેલીમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમારે મોદી સરકાર પર રોષ પ્રગટ કર્યો હતો.
હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે દેશની તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ખોટા કેસ કરીને લોકોને દબાવવામાં આવી રહ્યા છે. માટે બંધારણને બચાવવા આ રેલી છે. તો કનૈયાકુમારે કહ્યું કે સરકારનો ઢોલ ફાટવાની તૈયારીમાં છે. આ સરકાર જવાની છે.
લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીના ગઢમાંથી જ સરકારની નીતિરીતિ સામે હુંકાર ભરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ દ્વારા સરકારને સ્પષ્ટ સંદેશો આપવાની વાત તો દૂર રહી પરંતુ લોકોને પોતાના વજૂદનો સંદેશો આપવા માટે આ રેલી કેટલી કારગત નીવડે છે તે તો સમય કહેશે. રાજકોટની વાત કરીએ તો તે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે. અહીં રેલીના મુખ્ય આયોજક અને મંચદાતા એવા ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાસરત છે. જેઓ પ્રચાર મોકો મળતાં સરકાર સામે બાંયો ચડાવાનુ આયોજન કરી લે છે. આ રેલીના સહ આયોજક એવા હાર્દિક પટેલ હવે અનામતની વાત છોડીને માત્રમ્ મત માટે તૈયારી કરી રહ્યા છે કેમ કે તેમને હવે સમાજસેવા માટે લોકસભામાં બેસવુ જરૂરી લાગ્યુ છે. હાર્દિક પટેલે હવે લોકસભા ચૂંટણી લડી લેવાનું અને તે પણ ભાજપ વિરુદ્ધ જ ઉતરીને લડવાનું મન બનાવી લીધુ છે
જોકે આ રેલીનો કરણીસેનાના કાર્યકરો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સંવિધાન બચાવો રેલી મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી હતી. ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે જણાવ્યું કે ભારતના ટુકડા કરનારી ગેંગ સંવિધાનની વાત કરે છે. રાજકીય અસ્તિત્વ ટકાવવા કાર્યક્રમો કરી રહ્યાં છે. રેલી આયોજન કરનારા કે ભાગ લેનારા ટકી રહેવા મથી રહ્યાં છે.
રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન આગામી સમયમાં કેવું ફળદાયી બનશે? શું આ રેલી વડાપ્રધાનના ગૃહ રાજ્યથી વિપક્ષો માટે જોમ પૂરૂ પાડનારી બની રહેશે કે પછી બૂમરેંગ સાબિત થશે તે તો ચૂંટણીના પરિણામો કહી બતાવશે.