અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવાના ચુકાદા બાદ હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે અલ્પેશ કથીરિયાને કાયમી જામીન મળે તે માટે હાઇકોર્ટમાં અરજી કરીને પુરતા પ્રયાસો કરીશું. અમારુ આંદોલન સાચુ છે એટલે એના પરિણામ સ્વરૂપે અનામત તો મળી જ છે. જોકે અમરુ આંદોલન તો યોગ્ય દીશામાં ચાલતુ જ રહેશે. હાર્દિકે જણાવ્યું કે અલ્પેશ કથીરિયાએ પોલીસની એક્શન સામે રિએક્શન આપ્યું હતું.
અલ્પેશ કથીરિયાના જામીન રદ થવા મામલે ભાજપના નેતા અને પાસના પૂર્વ કાર્યકર રેશ્મા પટેલ અને વરૂણ પેટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. રેશ્મા પટેલે જણાવ્યું કે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થાય તે માટે પ્રયાસો કરશે. તો વરૂણ પટેલે જણાવ્યું કે આ કોર્ટનો મામલો હોવાથી તેઓ કઈ કરી શકે તેમ નથી પરંતું અલ્પેશ પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
ઉલ્લેખનિય છે કે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે. આ મામલે પોલીસ કમિશનર સતિષ શર્માએ નિવેદન આપ્યું છે. શર્માએ કહ્યું કે અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. અલ્પેશ કથીરિયાની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. પોલીસ સામે અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે તે હાઈકોર્ટમાં જઈ શકે છે અને અમે ત્યા પણ અમારો પક્ષ રાખીશું.
ઉલ્લેખનિય છે કે સુરત પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી. જેથી સુરત કોર્ટે અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા છે. તાજેતરમાં અલ્પેશને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા. આ બાબત પર અલ્પેશના વકીલે જણાવ્યું છે કે અમે હાઈકોર્ટમાં આ નિર્ણયને ચેલેન્જ કરીશુ. ઉલ્લેખનિય છે કે અમરોલી પોલીસ મથકે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. થોડા સમય પહેલા અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં અલ્પેશને જેલમુકત કરાયો હતો.