ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન પાર્ટ-2 ને લઈને હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસની તૈયારીમાં છે. પરંતુ ઉપવાસ આંદોલન માટે સ્થળ ન મળતા હવાતિયા મારી રહ્યો છે. અમદાવાદમાં એક પણ ગ્રાઉન્ડની મંજૂરી ન મળતા હવે ઉપવાસ આંદોલનનું સ્થળ જ બદલી નાખ્યું છે.
પાસ દ્વારા ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી માગવામાં આવી છે. આ માટે ગાંધીનગર મામલતદારને પત્ર પણ લખવામાં આવ્યો છે. સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ માટે મંજૂરી આપવા માગ કરી છે. એવી પણ માહિતી મળી રહી છે કે એક બાજુ હાર્દિકના ઘરે પણ ઉપવાસની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી કરીને અન્ય સ્થળ પર મંજૂરી ન મળે તો ઘરેથી જ આંદોલનની શરૂઆત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાર્દિક પટેલના એક દિવસના પ્રતીક ઉપવાસ મામલે હાર્દિકની અટકાયત બાદ અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા હતા. ત્યારે આજે હાર્દિક પટેલે 25 ઓગસ્ટના ઉપવાસને લઇને હાર્દિક પટેલે પોતાના નિવાસ સ્થાને જ ઉપવાસ કરશે તેવું જણાવ્યું હતું.
ત્યાર બાદ હવે પાસ દ્વારા ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી માંગવામાં આવી છે. જેમાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કરવા મંજૂરી આપવા ગાંધીનગર મામલતદારને પત્ર લખવામાં આવ્યો છે.