રાજકોટઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના દિવસો વધતા જાય છે. તેમ તેમ ગુજરાતના રાજકારણાં કશી નવા જૂનીના એંધાણ મજબૂત બનતા જાય છે. આજે હાર્દિકને અન્ન ત્યાગના 13 દિવસ થઈ ગયા છે. ઉપવાસથી ઊભી થયેલી અશક્તિના કારણે હવે તેને વ્હીલચેરનો સહારો લેવો પડ્યો છે.
જો કે ઘટતી જતી શારીરિક શક્તિ છતાં હાર્દિક પટેલ પોતાની માગ પર અડગ છે. શારીરિક પોષણ સાથે 13 દિવસ પહેલા છેડો છૂટી ગયો પરંતુ સામાજિક સંગઠનો અને કોંગ્રેસના આક્રમક સમર્થનના કારણે તેની લડાઈને પોષણ મળી રહ્યું છે. એક તરફ પાસ કાર્યકરો અને બીજી તરફ કોંગ્રેસ આ બન્ને હાર્દિક માટે કાખઘોડી બન્યા છે તો અનેક ક્ષેત્રના આગેવાનો હાર્દિક માટે રાહબર બની રહ્યા છે.
નરેશ પટેલે આપ્યા સંકેત
ત્યારે હાર્દિક પટેલના ઉપવાસનો સુખદ સંકેત આવે તેવા સંકેત નરેશ પટેલે આપ્યા છે. નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી છે તેમણે સરકાર અને PAASની ઇચ્છા બાદ મધ્યસ્થિ કરવા તૈયારી દર્શાવી છે. સરકાર ઇચ્છે તો નરેશ પટેલ મધ્યસ્થિ કરવા તૈયાર છે.
કોંગ્રેસે કરી હતી સરકારને રજૂઆત
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યમત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અને ખેડૂતોના દેવા માફી મુદ્દે રજૂઆત કરી હતી. આ સાથે જ કોંગ્રેસે રાજ્યની રૂપાણી સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. કોંગ્રેસ આવતીકાલે સવારે 11 વાગ્યેથી રાજ્યભરમાં 24 કલાકમાં ઉપવાસ આંદોલન ચલાવશે. સરકારની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરશે.
એટલું જ નહીં પરંતુ જો સરકાર દ્વારા આગામી 24 કલાકમાં હાર્દિકના આંદોલન મુદ્દે કોઈપણ પ્રકારનો સંવાદ નહીં યોજવામાં આવે તો કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો પણ કરશે. કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન સોંપી હાર્દિક પટેલની માગોને લઈને રજૂઆત કરી છે. સાથે જ પોલીસને નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તો અલ્પેશ કથિરિયાને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યો હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે.