અમદાવાદ: આખરે 18 દિવસની ઉપવાસ બાદ પાટીદાર અગ્રણી અને પાસ કન્વીનર હાર્દિક પટેલે આજરોજ 19માં દિવસે પારણાં કર્યા હતા. હાર્દિક પટેલે પાટીદારોની જાણીતી સંસ્થા માં ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલ તથાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિતના વિવિધ પાટીદાર અગ્રણીઓના હાથે હાર્દિક પટેલે પોતાના ઉપવાસનો સુખદ અંત આણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાસ અગ્રણી મનોજ પનારાએ આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિક પટેલના પારણાં અંગેની જાહેરાત કરી હતી. આજે હાર્દિક પટેલના પારણા 19મો દિવસ છે ત્યારે આજે બપોરે 3 વાગે હાર્દિક પટેલ પાટીદાર સમાજના અગ્રણીનો હાથે પારણા કરતા હાર્દિક પટેલના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
આપને જણાવી દઇએ કે ખેડૂતોના દેવામાફી અને અનામતની માગણી સાથે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની તબિયત બગડતા ઉપવાસના 14માં દિવસે તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યાં હાર્દિકે 2 દિવસની સારવાર લાધા બાદ હાર્દિક પટેલે ફરીથી પોતાના સત્તાવાર નિવાસસ્થાન છત્રપતિ નિવાસ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જો કે આજરોજ 18 દિવસ બાદ હાર્દિક પટેલે પોતાના ઉપવાસનો સુખદ અંત આણ્યો હતો.
હાર્દિક પટેલને પાટીદાર અગ્રણીઓએ પારણાં કરાવતા હાર્દિકના સમર્થકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. આ સાથે હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કર્યું હતું. ત્યારે હવે જોવું જ રહ્યું છે આજરોજ હાર્દિક પટેલના પારણાં પૂર્ણ થયા બાદ આગામી સમયમાં પાસ દ્વારા અને ખાસ કરીને હાર્દિક પટેલ દ્વારા આગામી કેવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે તેતો આવનારો સમય જ કહેશે.
અમદાવાદ ખાતે આવેલ હાર્દિક પટેલના નિવાસ સ્થાને યોજાયેલ પારણાંમાં નરેશ પટેલ સીકે પટેલ રમેશ દુધવાલા મગન પટેલ રવજી પટેલ એસ.પી.સ્વામી સહિત આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલના પારણાંમાં પાટીદાર સમાજની છ સંસ્થાઓ પણ જોડાઇ હતી.