જામનગરમાં આયોજિત ભાગવત સપ્તાહમાં હાર્દિક પટેલે કોંગ્રેસથી નારાજગી અને ભાજપમાં જોડાવા અંગે કરી સ્પષ્ટતા
કોંગ્રેસથી નારાજગીને લઇને હાર્દિક પટેલનું નિવેદન
કોંગ્રેસથી નારાજગી હોય પરંતુ સમાધાન શક્ય છે: હાર્દિક પટેલ
ભાજપમાં જોડાવા અંગેની વાત માત્ર અફવા: હાર્દિક પટેલ
ચૂંટણી આવી રહી છે એટલે રાજકીય સ્ટંટો અને દેખાવો શરૂ થઈ જવાના. તેમાં પણ હાર્દિક પટેલ તો છેલ્લા એક મહિનાથી કોંગ્રેસથી નારાજ હોવાનો સ્ટંટ મીડિયા સામે કરી રહ્યો છે.તેવામાં પહેલા તેના પિતાની પુણ્યતિથી પર કોંગ્રેસના નેતાઓની સાથે ભાજપના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું તેમાં ભાજપના નેતાઓએ શાણી રીતે કાર્યક્રમથી દૂરી બનાવી રાખી હતી. જે બાદ બીજી તરફ હાર્દિક પટેલે ટ્વીટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ શબ્દનો ઉલ્લેખ હટાવી દીધો હતો. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષનો ટ્વીટર એકાઉન્ટમાં ઉલ્લેખ હતો જેને હાર્દિકે દૂર કરી દીધો હતો. ત્યારે આ તમામ કાર્યોથી એક વાત સ્પષ્ટ થતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે પરંતુ આ અંગે જામનગરમાં હાર્દિક પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું.
ભાજપમાં જોડાવુ એ અફવા- હાર્દિક
જામનગરમાં આયોજિત ભાગવત કથામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓઓ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસથી નારાજગી હોય પરંતુ સમાધાન શક્ય છે. સાથે એમ પણ જણાવ્યુ હતું કે તેઓ ભાજપમાં જોડાવાના નથી.ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. તો સોશિયલ મીડિયા પર કોંગ્રેસનો સિમ્બોલ હટાવવા અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પક્ષ મારી રાજકીય ઓળખ નથી હું માત્ર ગુજરાતી છું. કોંગ્રેસ પરિવારમાં સમસ્યા હોય તો નિરાકરણ શક્ય છે. પરિવારમાં ચોક્કસ મતભેદ હોય પણ સમાધાન શક્ય છે. તેમજ એક સવાલ સાથે તેમણે જવાબ આપ્યો કે કયારેક પિતાની વાત છોકરા ન સાંભળે તો પરિવારથી અલગ થાય ?
હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા
મહત્વનું છે કે હાર્દિક પટેલની નારાજગી અને નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગે માહોલ ગરમાયો છે. તેવામાં જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં અનેક નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ , જીતુ વાઘાણી, રમેશ ધડુક, કાંધલ જાડેજા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે તમામ નેતાઓ સાથે હાથ મિલાવ્યા હતા. તેથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની હતી. જો કે આ અંગે હાર્દિકે સ્પષ્ટતા આપી હતી કે હકુભા મારા સારા મિત્ર છે. તો નરેશ પટેલ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા જે જોતા તેઓ ભાજપમાં જોડાઇ શકે છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.
કોંગ્રેસનો હોદ્દો હટાવવા મુદ્દે અગાઉ હાર્દિકે શું કહ્યું હતું ?
ટ્વીટર પરથી કોંગ્રેસનો હોદ્દો હટાવવાને લઇને હાર્દિક પટેલે VTV સાથેની ટેલિફોનિક વાત દરમિયાન કહ્યું હતું કે જે હોદ્દાનો મતલબ નથી તેને શા માટે રાખવો જોઈએ. ખાલી ખાલી હોદ્દો લખવાનો કોઈ મતલબ નથી તેવો મત વ્યક્ત કર્યો હતો.