SGVP ગુરૂકુળમાં ગૌપૂજા કર્યા બાદ હાર્દિક પટેલ કમલમ ખાતે જવા રવાના
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવશે. ત્યારે હાર્દિક પટેલ આજે 11 વાગ્યે ગાંધીનગરના કમલમ ખાતે વિધિવત રીતે C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારશે. આ પહેલાં હાર્દિકે પોતાના ઘરે દુર્ગાપૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરૂકુળ ખાતે ગૌ પૂજા કરી હતી.
राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અંતે હાર્દિક આજે ભાજપમાં કેસરિયા કરશે. ત્યારે એ પહેલાં હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.'
ભાજપમાં પ્રવેશ પહેલાં હાર્દિકે પોતાના ઘરે કર્યા હતા માઁ દુર્ગાના પૂજા પાઠ
એ સિવાય હાર્દિકે ગઇ કાલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મક્કમ ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બની સાથ આપવા યુવા નેતા હાર્દિક પટેલ તારીખ 2/6/2022 ના રોજ સવાર 11:00 કલાકે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.' બીજી બાજુ અમદાવાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકે ગણાવવામાં આવેલ છે.
ભાજપમાં પ્રવેશ પહેલાં અમદાવાદમાં બેનરો લગાવવામાં આવ્યા
હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ત્યારે એ પહેલાં અમદાવાદમાં હાર્દિકના સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકેના બેનર લગાવવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માનસી સર્કલ, કેશવબાગ અને શિવરંજની વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા ગણાવવામાં આવેલ છે.
જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?
હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું
વધુમાં તમને જણાવી દઇએ કે, આજે હાર્દિક પટેલની જેમ 2017માં વિધાનસભા ચૂંટણીમાં મણિનગર બેઠક પરથી ચૂંટણી લડનાર શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે.