ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હાઈકમાનને લઈને ફરી એકવખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
હાર્દિક પટેલની નારાજગી યથાવત
કોંગ્રેસની ચિંતન શિબિરથી રાખ્યું અંતર
આમંત્રણ છતાં હાર્દિકે ચિંતન શિબિરમાં જવાનું ટાળ્યું
હાર્દિક પટેલની નારાજગી યથાવત
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી યથાવત રહેવા પામી છે. મહત્વનું છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં આજ થી ત્રણ દિવસ માટે કોંગ્રેસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત ગુજરાતના 18 જેટલા નેતાઓને આમંત્રણ મળ્યું હતું કે, જો કે, આમંત્રણ હોવા છતાં હાર્દિક પટેલે કોંગ્રેસની ચિંતન શિબિરમાં જવાનું ટાળ્યું છે.
આગામી દિવસોમાં રણનીતિ ઘડવા કોંગ્રેસે ચિંતન શિબિરનું કર્યું છે આયોજન
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસની ત્રણ દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થવા જઇ રહી છે. કોંગ્રેસની ચિંતન શિબીર 13 થી 15 મે સુધી ચાલશે. જેમાં ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલ પાર્ટી તેની પુનઃરચના અને ધ્રુવીકરણની રાજનીતિનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડશે. આ શિબિરમાં કોંગ્રેસના 400થી વધુ દિગ્ગજો ભાગ લેશે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્રેનમાં મુસાફરી કરીને ઉદયપુર પહોંચી ગયા છે. આ સાથે ગુજરાત કોંગ્રેસના 18 જેટલા નેતાઓ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે ઉદયપુર પહોંચી ગયાં છે.
હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી અંગે પૂર્ણવિરામ મૂક્યું હતું
જો કે, કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી સહિતના મુદ્દાને કારણે હાર્દિક પટેલને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી હતી. તેની પર હાર્દિકે અગાઉ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે, "જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે મારી જવાબદારી નિભાવવાની હોય, હું કોંગ્રેસ પાર્ટીમાં છું, તો મારે 100 ટકા પાર્ટીને આપવાના છે. મે પહેલાં પણ કહ્યું છે કે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં જ્યારે-જ્યારે હું આંદોલનની ભૂમિકામાં હતો, ત્યારે પણ મેં મારા 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે."
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હાઈકમાનથી નારાજ હાર્દિક પટેલે થોડાં દિવસ પહેલાં પોતાના ટ્વિટર, વ્હોટ્સએપ અને ટેલીગ્રામના બાયોમાંથી કોંગ્રેસનો સિમ્બોલ હટાવી દીધી છે. જો કે તેમની નારાજગીના સમાચાર સામે આવ્યા બાદ હાઈકમાને તેમનો સંપર્ક કર્યો હતો.