2017ની ચૂંટણી વખતના આંદોલનના બે ચહેરાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું ભાજપમાંથી ચૂંટણી લડવાનું નક્કી મનાઇ રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની તડામાર તૈયારી
આંદોલનના બે ચહેરાઓ ભાજપમાંથી લડશે તે નક્કી
હાર્દિકની વિરમગામ અને અલ્પેશની રાધનપુર બેઠક સંભવિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો તડામાર તૈયારીમાં જોતરાઇ ગયા છે. જોકે ભાજપે ઉમેદવારો જાહેર નથી કર્યા પરંતુ 50 નેતાઓની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે. એમાંય વળી 2017ની ચૂંટણી વખતે આંદોલનના જે બે ચહેરાઓ ગુજરાતની નજરે ચડ્યા હતા તેઓ 2022માં ભાજપમાંથી લડશે તે નક્કી છે.
રાધનપુર બેઠકેથી AAPએ ઠાકોર સમાજના જ વ્યક્તિને ઉમેદવાર બનાવ્યા
હાર્દિક પટેલ કે જેઓ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઇ રહી છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરનું પણ રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. જેમાં રાધનપુર વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સમી તાલુકાના બાબરી ગામના લાલજીભાઈ આર.ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને આપના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું મો મીઠું કરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. AAPએ ખેડૂતપુત્ર અને ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવીને એક કાંકરે અનેક નિશાન પાર પાડ્યા છે. કારણ કે ઉમેદવાર સ્થાનિક અને અને એ પણ ઠાકોર સમાજના કે જે AAPના ઉમેદવાર માટે આ બેઠક પરથી જીતવા માટેનો એક મોટો ચાન્સ કહી શકાય.
અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી ભાજપમાં આવીને રાધનપુરથી ચૂંટણી હાર્યા હતા
તમને જણાવી દઇએ કે, હાર્દિક પટેલ કે જેઓ બે મહિના પહેલા કોંગ્રેસથી ભાજપમાં આવ્યા છે. મહત્વનું છે કે, વિરમગામની બેઠક પરથી 2017માં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ જીત્યા હતા. જ્યારે 2017માં કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2019માં કોંગ્રેસથી ભાજપમાં આવીને રાધનપુરથી તેઓ પેટાચૂંટણી હાર્યા હતા.
2017માં અલ્પેશે ભાજપના લવિંગજી ઠાકોરને હરાવ્યા હતા
રાધનપુર વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને અલ્પેશ ઠાકોરે ભાજપના લવિંગજી ઠાકોરને હરાવ્યા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી જીત્યા બાદ મંત્રી બનવાની લાલચમાં ભાજપમાં ભળી ગયા હતા અને 2019માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે તેઓ હારી ગયા હતા. રઘુ દેસાઈને 77 હજાર 410 અને અલ્પેશ ઠાકોરને 73 હજાર 603 મત મળતાં અલ્પેશ ઠાકોરનો 3 હજાર 807 મતે પરાજય થયો હતો.
જુઓ કેવી રહી છે હાર્દિક પટેલની રાજકીય સફર?
હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું