લોકસભા ચૂંટણીનો માહોલ રાજ્યમાં ઘેરો બની રહ્યો છે. નેતાઓ જનસંપર્ક માટે સભાઓ, રેલીઓ અને મીશટગોમાં વ્યસ્ત બન્યા છે. પ્રચારના આ ઘમાસાણમા નેતાઓ સાથે જનતાના પણ રંગરૂપ બદલાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર: લોકસભા ચૂંટણીનો માહોલ રાજ્યમાં ઘેરો બની રહ્યો છે. નેતાઓ જનસંપર્ક માટે સભાઓ, રેલીઓ અને મીશટગોમાં વ્યસ્ત બન્યા છે. પ્રચારના આ ઘમાસાણમા નેતાઓ સાથે જનતાના પણ રંગરૂપ બદલાઈ રહ્યા છે.
નેતાઓની સભાઓમાં જાણે નેતાઓ કરતાં જનતા વધારે કહેવા માગતી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અને એટલે જ તો નેતાઓની ભાષણ કલા સામે જનતાની આક્રોશલીલા જોવા મળી રહી છે. વાત નેતાઓને જૂતા મારવાની હોય કે નેતાને થપ્થડ મારવાની હોય. આ ચૂંટણી આવતા સુધીમાં ઘણુ બદલાઈ ગયું છે. જોઈએ આ અહેવાલ.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નેતાઓ વાત પ્રચારમાં અને લોકસંપર્કમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ જનતાની જાગૃતિ કહો કે, નેતાઓ પ્રત્યેનો અણગમો કહો કે ક્યાંક વ્યક્તિગત કારણો કહો નેતાઓનું માન હવે જળવાતું નથી. નેતાઓ પર સ્યાહી ફેકવાના, જૂતા ફેકવાના અને જાહેરમાં તમાચા મારવાના ભૂતકાળમાં અનેકવાર બનાવો બની ચૂક્યા છે તેમાં હવે તાજો બનાવ ગુજરાતમાં બન્યો છે અને જેનો શિકાર બન્યા છે.
કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ. વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલના પ્રચાર માટે હાર્દિક પટેલની જાહેર સભા ચાલી રહી હતી. ત્યારે હાર્દિક પટેલ સ્ટેજ પર પ્રવચન કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક વ્યક્તિ સ્ટેજ પર ધસી ગયો. તેના હાથમાં શાલ હતી.
પરંતુ કોઈ સમજે વિચારે તે પહેલા જ એ સફેદ કૂર્તા અને દાઢીધારી વ્યક્તિએ હાર્દિકને સણસણતો તમાચો ઝીંકી દીધો. જો કે, હાર્દિક પટેલે આ તમાચાનું કનેક્શન ભાજપ સાથે જોડી દીધું. આ ઘટનાથી ઉશ્કેરાયેલા સમર્થકો અને કાર્યકરોએ તમાચો ઝીંકનાર વ્યક્તિને ઘેરી લીધો અને દરેક પોતપોતાના બાવડાં બળ અને સમર્થન બળનો પરચો બતાવી દીધો.
ટૂંકમાં એક તમાચા સામે અનેક તમાચા સ્થળ પર જ વરસી ગયા. જો કે લોકશાહીની અને એક માનવ તરીકેની ગરિમાને ખંડિત કરતી આ ઘટના પછી અનેક પ્રતિક્રિયા સામે આવી એક સમયના હાર્દિકના રાજકીય દોસ્ત રહેલા પરંતુ અલ્પેશ ઠાકોરે જે પ્રતિક્રિયા આપી છે તેમાં રાજકીય હિસાબ ચૂકતે થતો નજરે પડે છે. કેમકે તેમનું આ નિવેદન હુમલાનું જાણે કે આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે..
હાર્દિકને જાહેરમાં તમાચો મારનારા એ વ્યક્તિ ઓળખ તરુણ ગજ્જર તરીકે બહાર આવી છે. હુમલાખોર તરુણ ગજ્જર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામનો હોવાની વિગત સામે આવી છે. જો કે, તમાચા બાદ ઉકળેલા રાજકારણને તરુણની આટલી ઓળખથી સંતોષ ન થાય તે સ્વાભાવિક છે.
આથી હાર્દિકના સમર્થકો તરુણ ગજ્જરનું ભાજપ કનેક્શન હોવાનો આક્ષેપ કરી રહયા છે. હાર્દિકના સમર્થતોનું એવો પણ આક્ષેપ છે કે, કે, તરુણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેદ્રનો ઈન્ચાર્જ છે. પરંતુ તરુણ ગજ્જર આ ઘટનાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવા ગણતો ગણતો નથી. તે આ ઘટનાને પોતાની અંગત ભાવનાનો ઉશ્કેરાટ ગણાવી રહ્યો છે.
ખેર, તમાચાનું કનેક્શન ત્યાં છે અને તેનો કરન્ટ કેવો છે તે બાબતને નજર અંદાજ કરીએ તો પણ અભિવ્યક્તિની આ પદ્ધતિ લોકશાહીમાં યોગ્ય નથી. લોકશાહીમાં મતમતાંતરો હોઈ શકે પરંતુ હુમલાથી કોઈનો વિચાર દબાવી શકાય નહીં. કોઈ આપણા વિચારનો વિરોધી હોઈ શકે પરંતુ તેના પર હિંસા એ રસ્તો નથી. તમાચાના રાજકારણમાંથી આપણે બહાર આવવાનું છે અને કોઈનો હાથો બનતા પણ બચવાનું છે.
કોઈ પર હુમલાથી તમારા વિચારો નહી, તમારી પ્રકૃતિ જ છતી થાય છે. વ્યકિતિગત સંતોષ માટે તમારા અંગત રોષને જાહેર ઉશ્કેરણીનો વિષય ન બનાવો. કોઈનો હાથો અને કોઈ વતી તમાચો બનવાના બદલે સ્વતંત્ર નાગરિક બનો. કેમકે વ્યકિતગત ગૌરવના પાયા પર જ લોકશાહીની ઈમારત ઊભી છે એ આપણે ન ભૂલવું જોઈએ.