ભારતીય ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઇ પંડ્યાનું હૃદયરોગના હુમલાના કારણે આજે સવારે(શનિવાર) નિધન થયું હતું. જેને લઇને બન્ને ક્રિકેટબંધુઓ પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. તેમના નિવાસસ્થાનેથી હિમાંશુભાઇ પંડ્યાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવારજનો અને સંબંધીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. વડીવાડી સ્મશાનમાં અંગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.
હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના 71 વર્ષીય પિતા હિમાંશુભાઇ પંડ્યાનું આજે વહેલી સવારે હાર્ટ એટેક આવતા નજીકની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થયું હતું. ત્યારબાદ તેમને ઘરે લઇ આવ્યા હતા. વડોદરાના ભાયલી રોડ પર આવેલા તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
બન્ને ભાઇઓએ પિતાંબર પહેરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમના પિતાને કાંધ આપી હતી. હિમાંશુભાઇના પાર્થિવદેહના વડીવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર કિરણ મોરે ત્યાં પણ પહોંચ્યા હતા.
હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાની અંતિમ વિધિ
હિમાંશુંભાઇ પંડ્યાનું જીવન સંઘર્ષભર્યું હતું
હિમાંશુભાઇ પંડ્યાનો સુરતમાં ફાઇનાન્સનો બિઝનેસ હતો. જોકે વર્ષ 1998માં તેમણે પોતાનો બિઝનેસ બંધ કરીને વડોદરા આવી ગયા હતા. વડોદરામાં તેમનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતા ક્રિકેટના શોખિન હતા અને પોતાના દિકરાઓને પણ મેચ બતાવતા હતા અને સ્ટેડિયમમાં પણ જોવા માટે લઇ જતા હતા.
આર્થિંક તંગી વચ્ચે હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાનો અભ્યાસ કરાવ્યો હતો. જોકે હાર્દિક 9માં ધોરણમાં નાપાસ થતા તેમણે અભ્યાસ છોડીને ક્રિકેટ પર ધ્યાન આપ્યું અને એક સમયે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીંદગી બદલાઈ ગઇ હતી. ત્યારબાદ તેણે શાનદાર પર્ફોમન્સના કારણે ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.
પિતાને કારનો શોખ હતો, 2 દિવસ અગાઉ જ પંજાબથી જીપ લાવ્યા હતા
ક્રિકેટની સાથે કારના શોખીન હિમાંશુભાઈ 2 દિવસ અગાઉ જ પંજાબથી જીપ લઈ આવ્યા હતા. તો છેલ્લી ઉત્તરાયણ પત્ની અને સગાં-સંબંધીઓ સાથે ઊજવી હતી.
કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી વડોદરા પહોંચ્યો હતો
ક્રુણાલ પંડ્યા વડોદરા માટે સૈય્યદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં રમી રહ્યા હતા. પિતાના નિધનના સમાચાર મળતા જ ક્રુણાલ પંડ્યા પોતાના ઘરે પહોંચ્યા હતા. વડોદરાના કેપ્ટન ક્રુણાલ પંડ્યાએ પોતાના પરિવારની સાથે આ મુશ્કેલ સમયમાં રહેવા માટે ટીમનો બાયો બબલ છોડી દીધું. હવે ક્રુણાલ પંડ્યા સય્યદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં આગમી ટુર્નામેન્ટનો ભાગ નહીં રહે.
વિરાટ કોહલીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક અને ક્રુણાલના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. કોહલીએ ટ્વિટ કરીને કહ્યું છે, હાર્દિક અને ક્રુણાલના પિતાના નિધનના સમાચાર સાંભળીને મારુ દિલ ટુટી ગયું છે. મે બે વખત તેમની સાથે વાત કરી હતી. તેઓ ઘણા પ્રસન્ન અને જીવંત સ્વભાવના વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે. તમે બન્ને મજબૂત રહો.
Heartbroken to hear about the demise of Hardik and Krunal's dad. Spoke to him a couple of times, looked a joyful and full of life person. May his soul rest in peace. Stay strong you two. @hardikpandya7@krunalpandya24