2017 માં ભારતે પાકિસ્તાન સામે 124 રનની જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની શરૂઆત કરી હતી. જો કે ફાઇનલમાં ભારત પાકિસ્તાનને કારણે જ ચેમ્પિયન્સ ટ્રોફી હારી ગયું હતું. આ મેચમાં 43 બોલમાં 76 રન કરનાર હાર્દિક પંડ્યા કમનસીબ રીતે રનઆઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાના ખોટા કોલને કારણે તેણે તેની વિકેટ ગુમાવી પડી હતી.
તે પછી જાડેજાની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક ઉડાવવામાં આવી હતી. લોકો જાડેજાને મિમ્સ અને કમેન્ટ્સ બનાવીને ટ્રોલ કરી રહ્યા હતા. આ ઘટના બાદ હાર્દિક પંડ્યાએ જાડેજાની માફી માંગી હતી. ક્રિકબઝ સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પંડ્યાએ ક્રિકેટ નિષ્ણાત હર્ષ ભોગલેને કહ્યું હતું કે, "આ વાત કોઈને ખબર નથી. મેં જાડેજાની ફ્લાઇટમાં માફી માંગી હતી. મને લાગ્યું કે મારા કારણે જ મારી ટીમના સાથી ખેલાડી સાથે આવું થઈ રહ્યું છે. મને સારું નહોતું લાગતું. મેં જાડેજાને સોરી કહ્યું. તેણે પણ કહ્યું કે વાંધો નહીં. આવું બધું તો ચાલ્યા કરે."
વાતચીત દરમિયાન પંડ્યાએ કહ્યું કે તે ક્રિકેટ સીઝન શરૂ થાય તેની રાહ જોઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો આ સ્ટાઇલિશ ઓલરાઉન્ડર કમરની ઈજાથી સાજા થયા બાદ ફરીથી કમબેક માટે તૈયાર છે. પંડ્યાએ સપ્ટેમ્બર 2018 પછીથી ફક્ત એક જ ટેસ્ટ મેચ રમી છે, પરંતુ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યો છે. પંડ્યાને પહેલીવાર 2018 માં એશિયા કપ મેચ દરમિયાન કમરની ઈજાની સમસ્યા થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાન સામેની મેચમાં તેને સ્ટ્રેચર પર સુવાડીમેં મેદાનમાંથી બહાર લઇ જવો પડ્યો હતો. હર્ષા ભોગલે સાથે વાત કરતી વખતે હાર્દિકે આ દિવસ યાદ કર્યો હતો.
હાર્દિકે કહ્યું કે તેને લાગ્યું કે તેની કારકિર્દી હવે પૂરી થઈ જશે. હાર્દિકે કહ્યું, "મને ખરેખર એવું લાગ્યું હતું કે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે કારણ કે મેં ક્યારેય આ રીતે કોઈને મેદાનમાંથી બહાર લઇ જવાતા જોયા નથી. મેં 10 મિનિટ સુધી સંઘર્ષ કર્યો, તે પછી પણ દુખાવો ઓછો થયો નહીં."