રાજકોટમાં મજૂર પરિવારની 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી. બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે ઘટનાના 24 કલાકમાં જ આરોપી હરદેવ માંગરોળીયાની ધરપકડ કરી છે.
પોલીસે મોડી રાત્રે આરોપી હરદેવ માંગરોળીયાની ધરપકડ
આરોપી પીડિતાના ઝુંપડા પાસે જ કરતો હતો નશો
બાળકીને ગોદડાથી જ મોઢે મુંગો દઇ લઇ ગયો હતો
રાજકોટમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી હરદેવ માંગરોળીયાને ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. દુષ્કર્મનો આરોપી ચરસનો વ્યસની હોવાનું સામે આવ્યુ છે. આરોપી હરદેવ ભારતનગર શેરી-8માં રહેતો હતો. આરોપી પીડિતાના ઝુંપડા પાસે જ નશો કરતો હતો. નાશામાં બાળકીનું અપહરણ કરીને આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું.
આરોપી નશાનો બંધાણી હતો
ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું કે, આરોપી નશાનો બંધાણી હતો અને આ કૃત્ય કર્યું પહેલા પણ તેણે દારૂ પીધો હતો. ગત રાત્રે અમે ભારતનગરથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની શોધખોળ માટે 10થી વધુ ટીમ લગાવી હતી. આરોપી અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો નથી.
પરિવારને જોયા છતાં બાળકી બુમ ન પાડી શકી
આરોપીએ શુક્રવાર રાત્રે નશામાં પરિવારસાથે સુતેલી 8 વર્ષની બાળકીને ગોદડાથી જ મોઢે મુંગો દઇ લઇ ગયો હતો. બાળકીને છરી બતાવી અને મોબાઇલની લાઇટના અંજવાળે દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનની હેવાનીયતથી કપડા લોહીલુહાણ થઇ ગયા હતા. દુષ્કર્મ આચરી હરદેવ નાસી ગયો હતો. ત્યારબાદ થોડે દૂર જઇ તે રેતીના ઢગલા પર સુઇ ગયો હતો. બાળકીને શોધવા નીકળેલા પરિવારજનોને બાળકીએ જોયા પરંતુ હેવાને મોઢું દબાવી રાખતા બાળકી બુમ ન પાડી શકી.
1 લાખનું ઇનામ મુકવામાં આવ્યું હતું
વધુમાં રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે, એક આરોપીના સ્કેચ વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. 1 હજારથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી પર 1 લાખનુ ઇનામ મુકવામાં આવ્યું હતું.
પોલીસને મળેલી ઇનામની રકમ બાળકીના પરિવારને અર્પણ કરી
પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓની ઝડપી કામગીરી બદલ 45 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. સાથે રઘુવીર યુવા સેના દ્વારા 25 હજારનું ઇનામ રાજકોટ પોલીસને આપવામાં આવ્યું છે. આ તમામ રકમ પોલીસ તરફથી ભોગ બનનાર બાળકીના પરિવારને અર્પણ કરવામાં આવી છે.
કોઇ વકીલ નહીં લડે આરોપીનો કેસ
8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારનો રાજકોટ બાર એસોશિએશનનો કોઇ વકીલ કેસ નહીં લડે જેનો સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો છે.
PCR વાન માટે પણ નવા નિયમો બનાવાયા
PCRને પોતાના વિસ્તાર સિવાય કોઇ અન્ય કામ નહીં સોપવામાં આવે. PCRએ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું રહેશે.