કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીએ છત્તીસગઢની મુલાકાત દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઇને આપ્યુ મહત્વનું નિવેદન, કોંગી કાર્યકરોએ મોંઘવારીનો નોંધાવ્યો વિરોધ
પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચ્યા આસમાને
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મહત્વનું નિવેદન
રાજ્ય સરકારોને ભાવ કાબૂમાં લાવવા કરી અપીલ
દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલ અને તેલના ભાવને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજબરોજ ભાવમાં વધારો થતા વિપક્ષ દ્વારા પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનતાની બસ એક જ માંગ છે કે પેટ્રોલ ડિઝલ અને તેલના ભાવમાં રાહત મળે. ત્યારે આ બધા વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદિપ સિંઘ પુરીએ રાજ્યોને મહત્વનું નિવેદન આપ્યુ..
પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે નિવેદન
છત્તીસગઢ પહોંચેલા કેન્દ્રીય મંત્રી હરદિપ સિંઘ પુરીએ કહ્યું કે કેન્દ્રસરકાર વપરાશકર્તાઓને રાહત આપવા માટે રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની અપીલ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમારો પ્રયાસ કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે. એટલે જ ગત વર્ષે કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન કર ઘટાડ્યો હતો અને રાજ્ય સરકારને પણ તેમ કરવા જણાવ્યું હતું.
છત્તીસગઢ સરકાર પર સાધ્યુ નિશાન
છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારને નિશાને લેતા જણાવ્યું કે છત્તીસગઢમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ 24 ટકા છે જો સરકાર તેને ઘટાડીને 10 ટકા કરી દે તો કિંમત આપોઆપ ઘટી જશે. સાથે પણ જણાવ્યું કે વપરાશ વધી રહ્યો છે તો 10 ટકા વેટ પણ વધારે ગણાય.
'વિકાસના કામો પ્રભાવિત થયા'
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નક્સલ પ્રભાવિત જિલ્લાઓને આપવામાં આવતુ વિશેષ ફંડ અટકાવી દેવામાં આવ્યુ છે પરિણામે વિકાસના કાર્યોમાં અવરોધ આવી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલનો કેટલો છે ભાવ ?
છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવો સ્થિર છે. પાંચ એપ્રિલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો થયો હતો. આ સમયે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ક્રમશ: 105.41 અને 96.67 રુપિયા પ્રતિ લિટર છે.