એશિયા કપ 2022થી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા હવે ટી20 વર્લ્ડ કપ 2022 જેવી મોટી ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. આ મોટી ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા 2 ટીમ સામે સીરિઝ રમશે. આ મેચો પહેલા ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલની જગ્યા પર ખતરો છવાયેલો છે. ક્રિકેટના ઘણા દિગ્ગજ તેમની જગ્યાએ એક બીજા ખેલાડીને તક આપવા માંગે છે.
ટીમમાં રાહુલની જગ્યાને ખતરો
ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકે કેએલ રાહુલ અને રોહિત શર્મા સિલેક્ટર્સની પસંદગી છે. આ બંને ખેલાડી ગયા ઘણા સમયથી આ જ સ્થાન પર રમી રહ્યા છે, પણ એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં કેએલ રાહુલ સાથે વિરાટ કોહલી ઓપનર રહ્યા હતા અને સદી ફટકારી હતી. આ મેચ બાદ ઘણા દિગ્ગજ વિરાટ કોહલીને ટીમમાં ઓપનર તરીકે જોઈ રહ્યા છે. આ લિસ્ટમાં હવે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું નામ પણ જોડાઈ ગયું છે.
હરભજન સિંહે કરી માંગ
હરભજન સિંહનું માનવું છે કે ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને ઓપનર તરીકે રાખવામાં આવે અને કેએલ રાહુલ ત્રીજા નંબર પર રમી શકે છે. હરભજન સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વિરાટ કોહલીએ આરસીબી ટીમની કેપ્ટન્સી કરતાં ઓપન કર્યું હતું. તેમણે ઓપન કરીને આરસીબી માટે એક સિઝનમાં જ 921 રન બનાવ્યા હતા. આ જ કારણે તેમના માટે આ રોલ નવો નથી. ભારતીય ટીમે હવે જોવું પડશે કે તેઓ શું ઈચ્છે છે.
વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ફટકારી સદી
તેમણે આગળ કહ્યું કે શું તેઓ વિરાટ અને રોહિતને ઓપન કરાવવા ઈચ્છે છે અને કેએલ રાહુલ નંબર 3 પર રમવા માંગે છે. મેનેજમેન્ટે નક્કી કરવાનું છે કે પ્લાન બી કે પ્લાન એ શું હશે. મારા હિસાબે ટોપ ખેલાડી છે વિરાટ, એમાં કોઈ શંકા નથી. રોહિત અને રાહુલ પણ એમ જ છે. વિરાટ પાસે ઓપનિંગ કરાવવી એક સારો આઇડિયા છે પણ મને નથી ખબર રાહુલ આ વાત પર સહેમત થશે કે નહીં.
એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી. આ મેચમાં પોતાના દાવની શરૂઆત કરતાં વિરાટે છેલ્લે સુધી 61 બોલ પર 122 રન બનાવ્યા. આ દાવમાં વિરાટ કોહલીએ 12 ચોક્કા અને 6 સિક્સર ફટકારી. આ મેચ બાદથી જ ઓપનર તરીકે વિરાટને રાખવાની માંગ થવા લાગી હતી.