ક્રિકેટર હરભજન સિંહ પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર હશે. આ અંગે પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ સોંપવામાં આવી શકે છે.
પંજાબમાં નવી સરકાર બનતાની સાથે લેવાયો મોટો નિર્ણય
હરભજન સિંહ બનશે AAPના રાજ્યસભાના ઉમેદવાર
સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ સોંપવામાં આવી શકે
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભગવંત માને જલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાનું વચન આપ્યું છે. 41 વર્ષીય ઓફ સ્પિનર હરભજન સિંહે ગયા વર્ષે 24 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
આ પહેલાં આમ આદમી પાર્ટીની જીત બાદ તુરંત જ પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ઉર્ફે ભજ્જીએ ભગવંત માનને અભિનંદન પાઠવ્યા હતાં. ભજ્જીએ ટ્વિટર પર લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને નવા મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન.. આ સાંભળીને ખૂબ જ આનંદ થયો કે, તેઓ ભગત સિંહના ખટકરકલાં ગામમાં નવા સીએમ તરીકે શપથ લેશે... કેવી તસવીર છે...આ ગર્વની ક્ષણ છે માતાજી માટે."
Congratulations to @AamAadmiParty and My friend #BhagwantMann on Becoming our New Chief minister .. great to hear that he will be taking oath as the new CM in Bhagat Singh's village Khatkarkalan, 🙏 what a picture…this is a proud moment for Mata ji 🙏🙏 pic.twitter.com/k46DNr6Pjz
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 10, 2022
ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ હતી
ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. ત્યારે ભારતના સૌથી સફળ સ્પિનરોમાંના એક હરભજન સિંહે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. જ્યારે તેમને રાજનીતિમાં જોડાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું દરેક પાર્ટીના નેતાઓને ઓળખું છું. જો હું રાજનીતિમાં પ્રવેશ કરીશ તો આપ સૌને પહેલાં જણાવીશ. ચાહે રાજકારણ હોય કે બીજો કોઈ રસ્તો, મારો હેતુ પંજાબની સેવા કરવાનો છે. હું હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચ્યો નથી.'
કંઇક આવી હતી ભજ્જીની કારકિર્દી
પંજાબના 41 વર્ષીય ખેલાડી હરભજનસિંહે પોતાની શાનદાર કારકિર્દીમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 ODIમાં 269 વિકેટ અને 28 T20માં 25 વિકેટ ઝડપી છે. આ ઑફ-સ્પિનરે ટ્વિટ કર્યું હતું કે, 'આ રમતને હું અલવિદા કહી રહ્યો છું, જેણે મને જીવનમાં ઘણું બધું આપ્યું છે, તમામ સારી વસ્તુઓનો પણ અંત આવે છે. 23 વર્ષની આ લાંબી યાત્રાને અદ્ભુત અને યાદગાર બનાવનાર તમામનો હું આભાર માનું છું.'