હરભજન સિંહે સ્પિન બોલર તરીકેની કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા પહેલાં આઈપીએલમાં લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે. આ સમય દરમિયાન તેણે બોલિંગની સાથે ઘણી સારી ઇનિંગ્સ પણ રમી છે. ત્યારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, જ્યારે તે વિકેટકીપરના બોલ પર આઉટ થયો હતો, તે સમય આઈપીએલમાં તેની કારકિર્દીનો સૌથી શરમજનક ક્ષણ હતો.
હાલ લોકડાઉનને કારણે તમામ ક્રિકેટર્સ ઘરમાં જ કેદ છે
ત્યારે હાલમાં જ હરભજન સિંહે તેના કરિયરના સૌથી શરમજનક ક્ષણ વિશે જણાવ્યું
આઈપીએલ યોજાવાને લઈને હરભજને કહી આ વાત
ગૌરવ કપૂરે હરભજન સિંહને પૂછ્યું, કે એ કયો બોલર છે જેણે તેની ટી-20 કારકિર્દીમાં એક માત્ર ઓવરમાં તમારી વિકેટ લીધી હતી? આ ઓવરને યાદ કરતાં હરભજને કહ્યું, 'મેચ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબનો એડમ ગિલક્રિસ્ટ મારી સામે આવ્યો, મેં વિચાર્યું કે હું તેના બોલ પર છગ્ગો ફટકારીશ. જોકે આવું ન થયું અને હું પહેલાં જ બોલ પર ફાઈન લગ પર કેચ આઉટ થઈ ગયો હતો. તેનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં.
હરભજનસિંહે વધુમાં કહ્યું કે, હું એવા બોલરની બોલ પર આઉટ થયો હતો જેણે નેટ્સ પર એકપણ બોલ નાખ્યો નહોતો. મેં ટેસ્ટ ક્રિકેટમાં તેને ઘણીવાર આઉટ કર્યો હતો અને એ દિવસે તેનો વારો હતો. તેણે એક જ વારમાં બધો બદલો લઈ લીધો અને પછી ગંગનમ ડાંસ કરીને ઉજવણી કરી હતી.
તે મેચમાં હરભજનની વિકેટ મેળવ્યા બાદ ગિલક્રિસ્ટે કહ્યું, 'હરભજને ઘણીવાર મારી વિકેટ લીધી છે, હું તેની નકલ કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં આઠ મેચ જીતી છે, આઠ હારી છે. કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ખૂબ જ સારી યાદો છે. હરભજન હજી નિવૃત્ત થયો નથી પરંતુ તેણે 2016માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. આ 39 વર્ષીય સ્પિનરે 103 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી છેલ્લે 2015માં રમી હતી. હરભજનએ 103 મેચોમાં 417 વિકેટ ઝડપી છે.
આઈપીએલના આયોજન વિશે હરભજને કહ્યું- સરકાર અને બીસીસીઆઈ આઈપીએલના ભવિષ્ય પર શું નિર્ણય લેશે. તેણે કહ્યું કે, જો 13 વર્ષમાં પહેલીવાર આઈપીએલ નહીં યોજાય તો પણ બરાબર છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ ક્રિકેટર પર દબાણ કરી શકાય નહીં. જીવન પહેલાં છે, ક્રિકેટ તો રાહ જોઈ શકે છે.