ભારતની આઝાદીના 75માં વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે.
ભારતની આઝાદીના 75 વર્ષ
આ વર્ષે PM એ હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું
તિરંગો ફરકાવવાના નિયમોનું પાલન કરવું
ભારતની આઝાદીના 75માં વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન આજથી શરૂ થઈને સોમવાર એટલે કે 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ અભિયાન હેઠળ પીએમ મોદીએ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો પણ જાણવા જરૂરી છે.
કોઇપણ સમયે તિરંગો પ્રદર્શિત કરી શકાય
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર તિરંગાની ગરિમા અને સન્માનનો અનાદર કર્યા વગર તમામ પ્રસંગોએ તમામ જગ્યાએ તિરંગો ફરકાવી શકાય છે. કોડ કહે છે કે ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે, પરંતુ તેની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર લંબચોરસ આકારમાં 3:2 હોવો જોઈએ. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર સૂર્યાસ્ત સુધી જ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઇએ, પરંતુ આ નિયમ હવે રદ કરવામાં આવ્યો છે. હવે દેશના કોઈપણ વ્યક્તિના ઘરે દિવસના 24 કલાકમાં કોઈપણ સમયે તિરંગો પ્રદર્શિત કરી શકાશે.
તિરંગો ફરકાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે દિવસ-રાત તિરંગો ફરકાવી શકાશે. જો કે રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વ્યક્તિ માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ધ્વજ ઊંધો ન ફરકાવવામાં આવે એટલે કે ધ્વજનો ભગવો ભાગ ઉપર રહે. ઉપરાંત, તમે જે ધ્વજ ફરકાવી રહ્યા છો તે ક્ષતિગ્રસ્ત તિરંગો પ્રદર્શિત ન થવો જોઈએ કે ન તો તે જમીન અથવા પાણીને સ્પર્શે. રાષ્ટ્રધ્વજને કોઈ પણ પ્રકારે નુકસાન ન થવું જોઈએ.
રાષ્ટ્રધ્વજને નુકસાન થાય તો શું કરવું?
રાષ્ટ્રધ્વજને નુકસાન થાય તો તેનો એવો નિકાલ કરવો જોઈએ કે તેની ગરિમાને ઠેસ ન પહોંચે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા સૂચવે છે કે તેને સળગાવીને સંપૂર્ણપણે ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ અને જો તે કાગળથી બનેલો છે, તો ખાતરી કરો કે તે જમીન પર પડ્યો ન રહે. તિરંગાની ગરિમાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ગોપનીયતા સાથે નિકાલ થવો જોઈએ.
તમામ પ્રસંગોએ ફરકાવી શકાય છે તિરંગો
નાગરિક, ખાનગી સંસ્થા કે શૈક્ષણિક સંસ્થા તમામ દિવસો અને પ્રસંગોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ધ્વજ પ્રદર્શનના સમય પર કોઈ પ્રતિબંધ નથી. સરકારે ભારતના ફ્લેગ કોડમાં સુધારો કરીને ખુલ્લામાં અને દિવસ-રાત અલગ અલગ મકાનો કે ઈમારતોમાં તિરંગો પ્રદર્શિત કરી શકાય. અગાઉ ભારતીયોને અમુક ચોક્કસ પ્રસંગોએ જ પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ હતી, પરંતુ ઉદ્યોગપતિ નવીન જિંદાલની એક દાયકા લાંબી કાનૂની લડાઈ બાદ આ નિયમ બદલાયો હતો.
ફ્લેગ કોડમાં સુધારો કરવામાં આવ્યો
23 જાન્યુઆરી 2004ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં જાહેર કર્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ 19(1)(એ)ના અર્થમાં ગરિમા અને સન્માન સાથે સ્વતંત્રપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મૂળભૂત અધિકાર છે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં સૌથી પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં સુધારો કરવામાં આવ્યો હતો. કપાસ, ઊન, રેશમ અને ખાદી ઉપરાંત પોલિએસ્ટરના ઉપયોગથી હાથથી કાંતેલા, વણાયેલા અને મશીનથી બનાવેલા ધ્વજ બનાવવાની છૂટ આપવામાં આવી હતી.