ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણીના આ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે 'હર ઘર તિરંગા' અભિયાન કેન્દ્ર સરકારે વેબસાઇટ શરૂ કરી.
'હર ઘર તિરંગા' અભિયાન કેન્દ્ર સરકારે શરૂ કરી વેબસાઇટ
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
www.harghartiranga.com વેબસાઈટ શરુ કરી
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.
#harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ
આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.
અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ લોકોએ પિન કર્યો ફ્લેગ
આ અભિયાન અંતર્ગત ૩૦ જુલાઈ સુધી ૪૦,૧૪,૯૩૩ નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પિન કર્યો છે. જ્યારે ૫,૭૯,૫૨૦ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે.