હર ઘર તિરંગા કાર્યક્રમને પગલે તાપી જિલ્લાના આંતરિયાળ ગામના આદિવાસી સમાજના લોકોને વાંસની સ્ટીકનો ઓર્ડર અપાયો છે.
તાપીના આદિવાસીઑને વાંસની સ્ટીક બનાવવા ઓર્ડર
5 લાખ સ્ટીક માટે મળ્યો ઓર્ડર
આદિવાસીઓને મળશે રોજગારી
હર ઘર તિરંગાની ઉજવણીને લઈને તાપી જિલ્લાના આંતરિયાળ ગામના આદિવાસીઑને વાંસની સ્ટીક બનાવવાનો પણ ઓર્ડર આપી દેવાયો છે. જેને લઈને આ વિસ્તારના લોકોને રોજગારી પણ મળી રહી છે અને 5 લાખ વાંસની સ્ટીકનો ઓર્ડર મળતા તેઓને રાષ્ટ્ર સેવાના કામમાં સહભાગી થવાનો આણંદ પણ મેળવી રહ્યા છે.
આદિવાસી સમાજના લોકોને મળી રોજગારી
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. અને આ 15મી ઓગસ્ટે હર ઘર તીરંગા લહેરાશે. જે અંગે જોરશોરથી તૈયારીઑ ચાલી રહિ છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના આંતરિયાળ ગામના આદિવાસી કોટવાડીયા સમાજના લોકોનો વાંસમાંથી સુપડાના ટોપલા બનાવવાનો પારંપરિક વ્યવસાય કરે છે. જેઑને જાણે લોટરી લાગી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ છે હર ઘર તિરંગા માટે આ સમાજના લોકોને વાંસની સ્ટીક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 5 લાખ વાંસની સ્ટીક બનાવવાનો ઓર્ડર મળતાં આદિવાસી સમાજના ભાઈ-બહેન સૌ કોઈ સ્ટીક બનાવવામાં લાગી ગયા છે. અને આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે.
તિરંગા માટે સ્ટીક બનાવી અનુભવી ધન્યતા
જેને પગલે 400થી વધુ લોકોને ઘરે બેઠા રોજગારીની તક ઉભી થઈ છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના અમૃત મહોત્સવમાં આ નાનકડું ગામ પણ યોગદાન આપી રહ્યું છે. અને હર ઘર તિરંગા લહેરાવવા માટે આ ગરીબ આદિવાસીઓ પણ સહભાગી થઈ રહ્યા છે. ત્યારે ગ્રામજનો પણ દેશના કાર્ય માટે પોતે કરેલા કામથી ધન્યતા અનુભવી રહ્યા છે. હાલ તો અહીં 5 લાખ સ્ટીક બનાવવા માટે રાત દિવસ કામ ચાલી રહ્યું છે. અને આ મહેનત રંગ લાવશે 15મી ઓગસ્ટે હર ઘર તીરંગા લહેરાશે જેને લઈને દેશભરમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળી શકે છે.