આજે નવવર્ષેના પ્રારંભે ભગવાનના આશિષ લેવા મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. શહેરના જુદા-જુદા મંદિરોમાં લોકો વહેલી સવારથી દર્શન કરવા પહોંચ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભદ્રકાળી મંદિરે નવા વર્ષને લઇને દર્શન કર્યાં.
CM રૂપાણીએ ભદ્રકાળી મંદિરે કર્યા દર્શન
મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા વર્ષને લઇને અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કર્યાં. સીએમ રુપાણીએ કહ્યું કે દરેખ વખતની પરંપરા રહી છે. ગુજરાત માટે ભદ્રકાળી માતા પાસે પ્રાર્થના કરી છે. માતાજી પાસે રાજ્યમાં સુખ-સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી છે.
જગન્નાથ મંદિરે ભવ્ય અન્નકૂટના દર્શન
અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. કોરોના સંકટમાં લોકો સામાજિક અંતર જાળવી માસ્ક સાથે જગન્નાથના દર્શનાર્થે પહોચી ગયા છે. શરૂ થનાર વર્ષ સુખાકારી નિવડે તેવી પ્રાર્થના સાથે ભક્તોએ જગન્નાથના દર્શન કર્યાં. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે અન્નકૂટના પણ દર્શનનું આયોજન કર્યું છે. જગન્નાથ મંદિરમાં અન્નકૂટના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. નવા વર્ષ નિમિત્તે જગન્નાથ મંદિરના મહંતે શુભકામના પાઠવી છે.
બેસતા વર્ષે ભદ્રકાળી મંદિરમાં ભીડ
નૂતન વર્ષના અવસરે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભકતોની ભીડ જોવા મળી. નવા વર્ષના પાવન અવસર પર ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટેલી જોવા મળી છે.
ઇસ્કોન મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા
આજે નવા વર્ષની શરુઆતમાં શહેરના ઇસ્કોન મંદિરે દર્શનાર્થીઓ ઉમટેલા જોવા મળ્યાં છે. વહેલી સવારથી જ ભકતો દર્શન માટે પહોંચ્યાં છે. ઇસ્કોન મંદિરમાં નવા વર્ષ પર ગોવર્ધન પૂજા થાય છે. મંદિરમાં ગોવર્ધન પૂજા અને દામોદર લીલાના દર્શન થાય છે.