હનુમાન જયંતિને લઇને સાળંગપુરમાં અનેક કાર્યક્રમોનું આયોજન, હજારોની સંખ્યામાં ભક્તો હાઇટેક સુરક્ષા વચ્ચે કરી શકશે દર્શન, રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે દર્શન
હનુમાન જયંતિનો પાવન પર્વ
હનુમાન જયંતિની દેશભરમાં ઉજવણી
સાળંગપુરમાં દિવાળી જેવો માહોલ
શનિવાર એટલે હનુમાનજીનો વાર.. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં ભક્તોનો જમાવડો તો રહેવાનો જ પરંતુ તેમાં પણ આજે હનુમાન જયંતિ એટલે મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
બાળ હનુમાનજીના દર્શન
બોટાદ સાળંગપુર મંદિરમાં ભક્તોમાં હરખની હેલી જોવા મળી રહી છે. આજના ખાસ અવસર પર હનુમાનજીના દર્શન કરવા ભક્તો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. હનુમાનજીનો જન્મદિવસ હોવાથી આજે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. પીળા રંગનો સાફો અને બાળ હનુમાનજીનુ રુપ જોવા મળી રહ્યુ છે. ભક્તો આ બાળ હનુમાનના આ દિવ્ય મુરતના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. હનુમાનજીના જન્મોત્સવને લઇને સમગ્ર મંદિરમાં ખાસ સજાવટ કરવામાં આવી હતી.
સારંગપુરમાં દિવાળી જેવા માહોલ
મંગળા આરતીમાં જ ભક્તોનો ધસારો ઉમટી પડ્યો હતો. દાદાની એક ઝલક માત્રથી ધન્ય બન્યા હતા. શનિવાર અને હનુમાન જયંતિના આ સંયોગ ખૂબ ખાસ ગણાય છે. શાસ્ત્રવિદોના મતે હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલીસા, સંકટમોનચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે. વળી આજે ચૈત્રી પૂનમ પણ છે એટલે આ દિવસે હનુમાન જયંતિનો અને પિતૃકૃપા મેળવવાનો ખાસ અવસર છે.
મારુતિ યજ્ઞનું આયોજન
આજના દિવસે કોઇ પણ શ્રદ્ધાળુ દાદાના દર્શન કર્યા વિના પાછો નહી ફરે કારણ કે આજે રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તેમજ આજે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.. પંચમુખી સમુહ મારુતી યજ્ઞ યોજાશે. જેમાં વડતાલ ગાદીના આચાર્ય, સંતો અને એક હજારથી વધુ હરિભક્તો યજ્ઞામાં બેસવાનો લાભ લેશે. દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે...આ મહોત્સવમાં અંદાજે લાખો દર્શનાર્થીઓ ઉમટી પડશે જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભક્તોને ધસારાને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિરડી અને તિરુપતિ બાલાજી મંદિર જેવી હાઇટેક સુરક્ષા જોવા મળી રહી છે. 5 લાખથી પણ વધારે ભક્તો દર્શન કરી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે 3 હજારથી પણ વધારે સ્વયંસેવકો ખડેપગે છે. ભક્તોને પાર્કિંગની પણ કોઇ અગવડતા પડશે નહી કારણકે 9 હજાર કાર પાર્ક થાય તે પ્રકારે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.