હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનો પર્વ ઘણો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તજન પોતાના આરાધ્ય દેવ હનુમાનજી માટે ઉપવાસ રાખે છે. પવનપુત્ર હનુમાનને ભગવાન શિવના 11મો અવતાર માનવામાં આવે છે. હનુમાનજીના જન્મ ચૈત્ર માસની શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. ભક્તોનુ મંગળ કરવા માટે પ્રભુ શ્રીરામના ભક્ત હનુમાનજી ધરતી પર અવિરત થયા હતા. આ વર્ષે આ તિથિ 19 એપ્રિલના રોજ છે. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજાપાઠ કરવાથી શત્રુ પર વિજય મળશે અને મનોકામના પૂર્ણ થશે.
આ રીતે ઉજવો હનુમાન જયંતી
હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરીને એક દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઇએ, સાથે જ કેટલાક નિયમોનુ પાલન કરવુ પડે છે. આ દિવસે ભક્તજનો મંદિરમાં પોતાના આરાધ્ય દેવના દર્શન કરે અને તેમના આશીર્વાદ લેવા જોઇએ. શાસ્ત્રો પ્રમાણે હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા માટે તેમને જનોઈ પણ પહેરાવવામાં આવે છે અને તેમની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદીનું વરખ પણ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન રામની લાંબી ઉંમર માટે હનુમાનજી પોતાના શરીર પર સિંદૂર લગાવતા હતા અને આજ કારણે તેમના ભક્તો પણ સિંદૂર લગાવે છે. સંધ્યા સમયે દક્ષિણ મુખી હનુમાન મૂર્તિની સામે શુદ્ઘ થઇને હનુમાનજીના ચમત્કારી મંત્રોનો જાપ કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય છે. હનુમાન જંયતી પર હનુમાન ચાલિસા અને રામચરિતમાનસ સાથે સુંદરકાંડના પાઠ કરવા જોઇએ, જેથી હનુમાજી પ્રસન્ન થાય છે.
અમર છે હનુમાનજી
રામ નામની મહિમાનું વર્ણન અને તેમના કામ માટે હનુમાનજી આજે પણ પૃથ્વી પર સશરીર બિરાજમાન છે, આ વાતનું પ્રમાણ મહાભારતમાં મળે છે. હનુમાનજી કળયુગના અંત સુધી ધર્મની રક્ષા માટે પૃથ્વી પર રહેશે. બજરંગબલી ચિરાયુ છે, ભગવાન રામે તેમને વરદાન આપ્યું છે. કહેવાય છે કે, ધરતી પર જ્યાં પણ રામકથાનું આયોજન થાય છે, ત્યા હનુમાનજી કોઇને કોઇ સ્વરૂપમાં હાજર હોય છે માટે રામજીની પૂજામાં હનુમાજીની પૂજા ચોક્કસથી કરવામાં આવે છે.
હનુમાનજીના જન્મ કથા
સમુદ્રમંથન પછી ભગવાન શિવે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરુપને જોવાની ઇચ્છા વ્યકત કરી, જે તેમણે સમુદ્રમંથન દરમિયાન દેવતાઓ અને અસુરોમાં દેખાયુ હતુ. તેમની ઈચ્છાનું પાલન કરીને ભગવાન વિષ્ણુએ મોહિની રુપ ધારણ કર્યુ. ભગવાન વિષ્ણુનું આકર્ષક રૂપ જોઈને શિવજી કામતુર થઈ ગયા અને તેમણે વીર્યપાત કરી દીધુ. પવનદેવે શિવજીના વીર્યને વાનર રાજા કેસરીના પત્ની અંજનાના ગર્ભમાં પ્રવિષ્ટ કરાવ્યા. આ રીતે અંજનાના ગર્ભમાં વાનરરૂપ હનુમાનજીનો જન્મ થયો. તેમને શિવજીનું 11મુ સ્વરૂપ રુદ્ર અવતાર માનવામાં આવે છે.